ગુજરાતમાં નમો કૌશલ્ય લક્ષ્મી યોજના અંતર્ગત આઈટીઆઈમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને પ્રોત્સાહન આપવા માટે એક વર્ષના કોર્સ માટે રૂ. ૧૫ હજાર અને બે વર્ષના કોર્સ માટે ૨૪ હજારની સહાય અપાશે. આ માટે બજેટમાં ૪૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે, ગુજરાત વિધાનસભા ખાતે શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળિયાએ પત્રકાર પરિષદ યોજી આ માહિતી આપી હતી. જેમાં યુવાનોની રોજગાર ક્ષમતા વધારવા 226 કરોડ વપરાશે તેમ જણાવાયું હતું.
અન્નપૂર્ણા યોજનામાં 200 કરોડની ફાળવણી
બજેટમાં જાહેર કરાયેલી નવી બાબતો પર ફોકસ કરતાં તેમણે કહ્યું કે, પીએમ સેતુ યોજના હેઠળ ૨૦૦ કરોડના ખર્ચે આઈટીઆઈને હબ એન્ડ સ્પોક મોડલમાં અપગ્રેડ કરવામાં આવશે. નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશનમાં યુવાનોની રોજગારક્ષમતા વધારવા માટે ૨૨૬ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. વર્તમાન યોજનાઓના વિસ્તરણને લઈ તેમણે કહ્યું કે, શ્રમિક અન્નપૂર્ણા યોજનામાં ૨૦૦ કરોડની ફાળવણી સાથે નવા ૩૦૦ અન્નપૂર્ણા બૂથ શરૂ કરવાનું આયોજન છે, જ્યાં પાંચ રૂપિયામાં ભોજન મળે છે. શ્રમિક બસેરા યોજનામાં બાંધકામ શ્રમિકોને નજીવા દરે રહેવાની સુવિધા માટે ૧૫૦ કરોડની જોગવાઈ કરાઈ છે.
રોજગાર ન મળે તો બેરોજગારી ભથ્થું ચુકવાશે
ગ્રામ વિકાસ વિભાગની મહત્ત્વની યોજનાને ટાંકીને કહેવાયું કે, લખપતિ દીદી સશક્તિકરણ યોજનામાં વર્ષ ૨૦૨૬-૨૭માં ૪૮ કરોડની જોગવાઈ છે, દર વર્ષે આશરે ૧૦ હજાર અનુભવી લખપતિ દીદીને તેમના વ્યવસાયના સ્કેલિંગ અપ માટે સહાય અપાશે. સ્વસહાય જૂથની મહિલાને કાયમી વેચાણ પ્લેટફોર્મ મળી રહે તે માટે ૨૦ કરોડની જોગવાઈ સાથે ગ્રામ હાટ ઊભા કરાશે. આ હાટ મહાનગરપાલિકા, નગરપાલિકા અને પ્રવાસન સ્થળોની સરકારી જમીન પર બનાવવામાં આવશે. વીબી-જીરામ-જી (મનરેગા) યોજનામાં ૧૫૦૦ કરોડની જોગવાઈ છે, ૧૦૦ને બદલે હવે ૧૨૫ દિવસની રોજગારીની ગેરંટી આપવામાં આવશે. નિર્ધારિત સમયમાં રોજગાર ન મળે તો બેરોજગારી ભથ્થું ચુકવાશે
