શહેરના પોશ ગણાતા વસ્ત્રાપુર વિસ્તારમાં ઘરઘાટીએ માલિકનો વિશ્વાસઘાત કરી ચોરી આચરી હોવાની ઘટના સામે આવી છે. ગોયલ ઇન્ટરસિટીમાં રહેતા એક વેપારીના ઘરેથી રિવોલ્વર, જીવતા કારતૂસ અને રોકડ રકમ મળી કુલ રુ. ૩.૨૫ લાખની ચોરી કરીને ઘરઘાટી નોકર ફરાર થઈ ગયો હતો. આ મામલે વેપારીએ વસ્ત્રાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
વસ્ત્રાપુર વિસ્તારમાં રહેતા અમનદીપસિંહ ગૌશાળા ચલાવે છે
તેમની માતાએ સ્વરક્ષણ માટે રિવોલ્વરનું લાયસન્સ મેળવી હથિયાર અને ૧૦ નંગ જીવતા કારતૂસ ખરીદ્યા હતા. અમનદીપસિંહે રિવોલ્વર ડીલરને ત્યાં હથિયાર જમા કરાવવાનું હોવાથી જયારે કબાટ ખોલ્યો, ત્યારે અંદરથી રિવોલ્વર અને કારતૂસ ગાયબ હોવાનું જણાયું હતું. તપાસ કરતા ઘરમાં રાખેલી રોકડ રકમ પણ મળી આવી ન હતી. અમનદીપસિંહે ઘરકામ અને રસોઈ માટે બે મહિના પહેલા જ રાજસ્થાનના મહિપાલસિંહ નામના શખ્સની પૂછપરછ કરી હતી.
નિયમ મુજબ ઘરઘાટી રાખતા પહેલા પોલીસ વેરિફિકેશન કરાવવું જરૂરી છે
પરંતુ તે બહાનાબાજી કરવા લાગ્યો હતો અને તક મળતા જ ઘરેથી ફરાર થઈ ગયો હતો. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પી.આઈ.ના જણાવ્યા અનુસાર, આરોપી ઘરઘાટીના રજિસ્ટ્રેશન અંગે હાલ તપાસ ચાલી રહી છે. નિયમ મુજબ ઘરઘાટી રાખતા પહેલા પોલીસ વેરિફિકેશન કરાવવું ફરજિયાત હોય છે, ત્યારે આ કિસ્સામાં વેરિફિકેશન થયું હતું કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરાઈ છે.
