ગુજરાતમાં ભાગેડુ લગ્ન મુદ્દે વિવાદ વકરી રહ્યો છે. રબારી સમાજની સિંગર કિંજલ રબારીએ ચૌધરી સમાજના યુવક સાથે લવ મેરેજ કર્યા બાદ સમાજના આગેવાનોએ તેને પરત લાવવા માટે હાંકલ કરી હતી અને ત્યાર બાદ કિંજલને તેના સમાજ અને પરિવારને સોંપી દેવામાં આવી હતી. આ મામલે ચૌધરી સમાજે પણ પોતાના સમાજની દીકરીને પરત આપવા માગ કરી છે અને આ માટે મોટું સંમેલન બોલાવાની તૈયારીઓ કરી છે. ત્યારે હવે નડિયાદના લસુન્દ્રામાં રબારી સમાજના યુવક દ્વારા પાટીદાર યુવતીને ભગાડી જવાનો મુદ્દો પણ ગરમ થઈ રહ્યો છે.
યુવતીને પરત આપવા માતાની માંગ
નડિયાદના લસુન્દ્રામાં પાટીદાર યુવતીના રબારી યુવક સાથે લગ્ન થયા બાદ યુવતી પરત આપવા માટે ઠાકરશી રબારીને માગ કરવામાં આવી છે. યુવતીની માતાએ ઠાકરશી રબારીને કહ્યું હતું કે, મારી દીકરીને પરત અપાવો. દીકરી માટે સમાજને ભેગો કરો. મારી દીકરી સાથે વાતચીત થઈ નથી. અમને સમાજ બહાર લગ્ન સ્વીકાર્ય નથી. સાતમી માર્ચે દીકરી કોલેજ જવાનું કહીને નીકળી હતી. ત્યાર બાદ તે ઘરે પરત નહીં ફરતા ગુમ થયાની પોલીસ ફરિયાદ કરાઈ હતી. મોડાસા પોલીસ મથકેથી ફોન આવ્યો હતો અને દીકરી વિશે જાણ કરી હતી. પોલીસે અમારી દીકરીએ રબારી યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હોવાની જાણ કરી હતી. હવે આ મામલે પાટીદાર સમાજના આગેવાનો પણ પરિવારની સાથે આવ્યા છે.
પાટીદાર આગેવાન વરુણ પટેલની ચીમકી
પાટીદાર આગેવાન વરુણ પટેલે કહ્યું હતું કે, અમે જે નક્કી કર્યું છે તે પૂર્ણ કરીશું. રબારી સમાજના આગેવાનો પોતાના શબ્દો પર અડગ રહેજો. પાટીદાર આગેવાનો આજે લસુન્દ્રા જશે. પલક પટેલના માતા પિતા સાથે મુલાકાત કરશે. આ દીકરીને પરત લાવવા માટે એસપીજી અને પાસના આગેવાનો કામગીરી કરશે. આજે ગૌરાંગ પટેલ અને દિનેશ બાંભણિયા લસુન્દ્રા જશે. આંતરજ્ઞાતિય લગ્નનો મુદ્દો ગુજરાતમાં વધુ વિવાદ સર્જી રહ્યો છે.
