Ahmedabad News: યુનેસ્કોની ટીમ ચાર દિવસની મુલાકાત દરમિયાન વર્લ્ડ હેરિટેજ સિટીના દરજ્જાની સમીક્ષા કરશે

📅 Published: March 17, 2026 | 📂 Category: gujarat-news

યુનેસ્કો દ્વારા અમદાવાદને એનાયત કરવામાં આવેલા “વર્લ્ડ હેરિટેજ સિટી’ના દરજ્જાની સમીક્ષા કરવા માટે યુનેસ્કો ઈન્ટરનેશનલ કાઉન્સિલ ઓન મોન્યુમેન્ટ્સ એન્ડ સાઈટ્સ (ICOMOS)નું સંયુક્ત પ્રતિનિધિમંડળ આવતીકાલ તા.૧૭મી માર્ચના રોજ મોડી રાત્રે અમદાવાદ આવી પહોંચશે. આઈ કોમોસના એક્સપર્ટ એલિઝાબેથ વાઈન્સ અને યુનેસ્કોના એક્સપર્ટ રોલેન્ડ લિનના નેતૃત્વ હેઠળનું આ પ્રતિનિધિમંડળ તા.૧૮થી ૨૨ માર્ચ સુધીના ૪ દિવસીય પ્રવાસ દરમિયાન કોટ વિસ્તાર સહિત શહેરની ઐતિહાસિક ઈમારતોની મુલાકાત લેશે. આ ટીમ શહેરીજનોને રૂબરૂ મળીને હેરિટેજ સિટી અંગે તેમના મંતવ્યો અને અભિપ્રાયો પણ મેળવશે.

ટીમ હેરીટેજ સિટીના દરજ્જાની સમીક્ષા કરશે

આ ચાર દિવસીય ‘રિએક્ટિવ મોનિટરિંગ મિશન’ દરમિયાન ટીમ દ્વારા ભદ્રના કિલ્લા, સરદાર પટેલ મ્યુઝિયમ અને ગીતા મંદિર એસ.ટી. બસ સ્ટેન્ડ સહિતના ચાલી રહેલા પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કરાશે. તા.૨૧મી માર્ચના રોજ મ્યુનિ.કમિશનર સાથેની બેઠક બાદ આ ટીમ દિલ્હી પરત ફરશે. યુનેસ્કોનો આ રિપોર્ટ અમદાવાદના વર્લ્ડ હેરિટેજ ટેગના ભવિષ્ય માટે અત્યંત મહત્વનો પુરવાર થશે.તાજેતરમાં યોજાયેલા સેમિનાર દરમિયાન કેટલાક મહત્વના પ્રોજેક્ટ્સના ડેવલપમેન્ટ સામે ઉઠેલા પ્રશ્નોને ધ્યાનમાં લેતા આ મુલાકાત ખૂબ જ સૂચક માનવામાં આવે છે.

નાગરિકોની પાંખી હાજરી ચર્ચાનો વિષય બની

અગાઉના સેમિનારમાં નાગરિકોની પાંખી હાજરી ચર્ચાનો વિષય બની હતી, જેમાં કોટ વિસ્તારમાંથી માત્ર ૭ વ્યક્તિઓ જ હાજર રહી હતી. આથી, સ્થાનિકોએ કોટ વિસ્તારમાં જ પબ્લિક મીટિંગ યોજવાની અને હેરિટેજ મિલકતોના રિસ્ટોરેશન પ્લાનની મંજૂરીમાં થતા વિલંબ અંગે રજૂઆતો કરી હતી. ૧૮ માર્ચના રોજ એએમસી દાણાપીઠ ખાતે યોજાનારી બેઠકમાં યુનેસ્કો દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નો અને આઈકોમોસના ટેકનિકલ રિવ્યુ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.

આ પણ વાંચોઃ Ahmedabadના થલતેજમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગના કૌભાંડનો પર્દાફાશ, પોલીસે એકની કરી ધરપકડ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *