અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં સોશિયલ મીડિયા પર મૂકવામાં આવેલું એક સ્ટેટસ મોતનું નિમિત્ત બન્યું છે. છેલ્લા બે વર્ષથી ચાલતા પ્રેમ પ્રકરણ અને આડા સંબંધોની અદાવતમાં હિંસક અથડામણ થઈ હતી. આ લોહિયાળ હુમલામાં એક યુવકનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બે વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. સરખેજ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે સંયુક્ત કાર્યવાહી કરી મુખ્ય આરોપી સહિત ત્રણની ધરપકડ કરી લીધી છે.
પ્રેમ પ્રકરણ અને વિવાદિત સ્ટેટસ
મળતી માહિતી મુજબ, આશિષ ઠાકોરને સંજય ઠાકોરની પત્ની વચ્ચે છેલ્લા બે વર્ષથી આડા સંબંધો ચાલતા હતા. બે માસ પહેલા આ બાબતની જાણ થતા સંજયના પરિવારે આશિષ સાથે ઝઘડો કર્યો હતો, જોકે ત્યારે સામાજિક સમાધાન થયું હતું. પરંતુ 17મી માર્ચની રાત્રે આશિષે સંજયની પત્ની સાથેનો પોતાનો ફોટો વોટ્સએપ પર બીભત્સ સ્ટેટસ તરીકે મૂક્યો હતો. આ સ્ટેટસ હટાવવા વારંવાર મળેલી ચેતવણી છતાં આશિષે તે ન હટાવતા મામલો બિચક્યો હતો.
હથિયારો સાથે હુમલો અને હત્યા
ઉશ્કેરાયેલા 6 શખ્સો હથિયારો સાથે આશિષના ઘર બહાર ત્રાટક્યા હતા. જીવ બચાવવા આશિષ ઘરમાં છુપાઈ ગયો, પરંતુ હુમલાખોરોએ આશિષના પરિવારજનો અને સબંધીઓ પર આડેધડ ઘા ઝીંક્યા હતા. આ હુમલામાં આશિષના સબંધી ભાઈ ગોવિંદ ઠાકોરને છરીના ઘા વાગતા તેમનું મોત થયું હતું, જ્યારે નરેશ ઠાકોર અને જયેશ ઠાકોર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.
પોલીસ કાર્યવાહી
ઘટનાની જાણ થતા જ સરખેજ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ એક્શનમાં આવી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં મુખ્ય આરોપી મહેશ ઠાકોર ઉર્ફે રાજુ ભાભર, ભરત ઠાકોર અને હર્ષિલ ઠાકોરની ધરપકડ કરી લીધી છે. આ કેસમાં હજુ પ્રતાપ ઠાકોર, વિશાલ ઠાકોર અને સંજય ઠાકોર ફરાર છે, જેમને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો— Patan : પોલીસને છંછેડી, હવે ભોગવો, જીલીયા ફાર્મમાં આતંક મચાવનાર 17 લુખ્ખાઓની પોલીસે જાહેરમાં સર્વિસ કરી સરઘસ કાઢ્યું
