સુરત મહાનગર પાલિકા દ્વારા લોકોને વારંવાર જાહેરમાં કચરો ફેંકીને ગંદકી નહીં કરવા માટે અપીલ કરવામાં આવે છે અને જાગૃતિ માટેના પ્રયાસો પણ જારી છે. પરંતુ કેટલાક લોકો ગમે ત્યાં કચરો ફેંકીને ગંદકી ફેલાવે છે. જેની ગંભીર નોંધ લઇ કતારગામ ઝોનમાં આરોગ્ય વિભાગ દ્વારા કિરણ હોસ્પિટલના આસપાસના વિસ્તારો, ગોટાલાવાડી તેમજ જૂની ઓફિસ નજીકના વિસ્તારોમાં સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. જેમાં ગમે ત્યાં કચરો ફેંકીને ગંદકી કરનારા ૩૫ લોકોને નોટિસ ફટકારવામાં આવી હતી. સાથે જ 53 હજાર રૂપિયાનો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો.
સ્વચ્છ સર્વેક્ષણની ટીમ શહેરની મુલાકાતે આવશે
આગામી દિવસોમાં સ્વચ્છ સર્વેક્ષણની ટીમ શહેરની મુલાકાતે આવવાની છે ત્યારે પાલિકા દ્વારા તમામ વિસ્તારોમાં સાફ-સફાઈ સાથે પેઇન્ટિંગ સહિતની કામગીરી જોરમાં છે. પાલિકા દ્વારા લોકોને પણ ગમે ત્યાં કચરો નહીં ફેંકવા માટેની અપીલ કરવામાં આવી છે, પરંતુ તેની કોઈ ખાસ અસર દેખાતી નથી. કતારગામ ઝોન દ્વારા સોમવારે કિરણ હોસ્પિટલ, ગોટાલાવાડી, જૂની વોર્ડ ઓફિસ સહિતના વિસ્તારોમાં સાફ-સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. જેમાં 16 સુપરવાઈઝરી સ્ટાફ, 118 સફાઈ કામદારો, 15 એનજીઓ અને સ્થાનિક લોકો પણ હાજર રહ્યા હતા.
વહીવટી ચાર્જ પણ વસૂલ કરવામાં આવ્યો
આ દરમિયાન 80 સંસ્થાઓ પર તપાસ કરવામાં આવી હતી. જેમાં સેગ્રીગેશન ન કરતી સંસ્થાઓ અને લાઇસન્સ ન હોય તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરમિયાન 32 કિલો પ્લાસ્ટિક, 13 કિલો અખાદ્ય જથ્થોનો નાશ કરવામાં આવ્યો હતો. તેની સાથે જ 35 સંસ્થાઓને ગંદકી બદલ નોટિસ ફટકારવામાં આવી હતી. જ્યારે 53 હજાર રૂપિયાનો વહીવટી ચાર્જ પણ વસૂલ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે પાલિકા દ્વારા ગંદકી કરનારાઓ સામે સતત કાર્યવાહી જારી છે પરંતુ તે છતાય લોકોમાં જાગૃતિના અભાવે કચરો ગમે તેમ ફેંકવામાં આવે છે.
