અમદાવાદ: નવજીવન સેન્ટર દ્વારા શિયાળાની ઋતુમાં મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. આ પાંચમા વર્ષે પણ સંસ્થાના વિદ્યાર્થીઓ વટાણા, તુવેર ફોલવા અને મેથી-પાલકની ભાજી સાફ કરવા જેવી પ્રવૃત્તિઓમાં મદદરૂપ થશે. આ પ્રવૃત્તિથી વિદ્યાર્થીઓની ક્ષમતા વધારવામાં મદદ મળશે. આ કાર્ય દ્વારા મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓની ફાઇન મોટર સ્કિલ્સ, આઇ-હેન્ડ કોઓર્ડિનેશન સ્કિલ્સ અને ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતામાં સુધારો થશે. આ પ્રવૃત્તિઓ તેમને વ્યવહારિક કૌશલ્યો શીખવવામાં અને તેમની એકાગ્રતા વધારવામાં મદદરૂપ થાય છે. જે વાલીઓ કે શુભેચ્છકો આ બાળકોને કામ આપવા માંગતા હોય, તેઓ 8733814555 નંબર પર અગાઉથી ઓર્ડર બુક કરાવી શકે છે. ગ્રાહકોએ પોતાની રીતે તુવેર, મેથીની ભાજી કે વટાણા ખરીદીને સંસ્થાને ફોલવા કે સાફ કરવા માટે મોકલી આપવાના રહેશે.આ વસ્તુઓ મોકલવાનું સ્થળ નવજીવન સેન્ટર, ઠાકોર વાસ, જોગણી મંદિરની પાછળ, મેમનગર ગામ, અમદાવાદ છે. આ સેવાઓ માટે નીચે મુજબના ચાર્જિસ લાગુ પડશે: વટાણા: 1 કિલોના 20 રૂપિયા, તુવેર: 1 કિલોના 35 રૂપિયા, ભાજી: 1 ઝૂડીના 20 રૂપિયા.આ પ્રવૃત્તિ દ્વારા એકત્રિત થતી રકમનો ઉપયોગ સંસ્થાના મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓના લાભાર્થે કરવામાં આવશે. આ પહેલ સંગીતા પંચાલ (નવજીવન) દ્વારા શરૂ કરવામાં આવી છે.
નવજીવનના મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓ વટાણા-તુવેર ફોલશે:આ પ્રવૃત્તિથી તેમની એકાગ્રતા અને કૌશલ્ય વધશે
📅 Published: November 19, 2025 |
📂 Category: Uncategorized
