
રેલવે ટ્રેક પર પથ્થર અને ફેન્સિંગ પોલ મુકી દીધા : ચિતલ-ખીજડિયા વચ્ચે સમયસર ડ્રાઇવરની નજર પડી જતાં ઇમરજન્સી બ્રેક મારીને ટ્રેનને થંભાવી દેવાથી મોટી દુર્ઘટના ટળી
અમરેલી, : ગુજરાતમા ફરી એકવાર રેલવે ટ્રેક સાથે છેડછાડ કરીને નિર્દોષ મુસાફરોની જિંદગી જોખમમાં મૂકવાનો પ્રયાસ સામે આવ્યો છે. અમરેલી તાલુકાના ચિતલ અને ખીજડિયા રેલવે સ્ટેશન વચ્ચે અજાણ્યા શખ્સો દ્વારા ટ્રેન ઉથલાવવાના ઈરાદે ટ્રેક પર પથ્થરો અને ફેન્સિંગના પોલ ગોઠવવામાં આવ્યા હોવાની ચોંકાવનારી ઘટના બની છે. આ ઘટનાને પગલે રેલવે સુરક્ષા દળ અને ગુપ્તચર એજન્સીઓ હરકતમાં આવી ગઈ છે.
ભાવનગર-પોરબંદર પેસેન્જર ટ્રેન જ્યારે ચિતલ અને ખીજડિયા સ્ટેશન વચ્ચેથી પસાર થઈ રહી હતી, ત્યારે લોકો પાઈલટની નજર ટ્રેક પર પડેલા અવરોધો પર પડી હતી.
