બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરમાં રખડતા કૂતરાઓનો ત્રાસ હવે જીવલેણ બની રહ્યો છે. ધાનેરાની શ્રીનાથ સોસાયટીમાં રખડતા શ્વાનોએ બે માસૂમ બાળકો પર ઓચિંતા હુમલો કરી ગંભીર રીતે બચકા ભરતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
ધાનેરા શહેરમાં રખડતા કૂતરાઓનો ત્રાસ
મળતી માહિતી મુજબ, શ્રીનાથ સોસાયટીમાં બાળકો રમી રહ્યા હતા ત્યારે રખડતા શ્વાનોનું એક ટોળું ત્યાં ધસી આવ્યું હતું અને બે બાળકો પર હિંસક હુમલો કર્યો હતો. શ્વાનોએ બાળકોને શરીરના ભાગે ગંભીર બચકા ભર્યા હતા. બાળકોની ચીસાચીસ સાંભળી આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બાળકોને શ્વાનના ચુંગાલમાંથી છોડાવ્યા હતા.
શ્વાનોએ બાળકો પર ઓચિંતા હુમલો કર્યો
ઈજાગ્રસ્ત બંને બાળકોને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જોકે, ઈજાઓ વધુ ગંભીર હોવાને કારણે બંને માસૂમોને વધુ સારવાર અર્થે ડીસા ખાતે રિફર કરવામાં આવ્યા છે. ધાનેરામાં રખડતા શ્વાનોનો આતંક કોઈ નવી વાત નથી. અગાઉ પણ અનેક લોકો શ્વાન કરડવાની ઘટનાનો ભોગ બની ચૂક્યા છે.
