સરદાર વલ્લભભાઈ પટેલના વતન કરમસદને આણંદ મહાનગર પાલિકામાં સમાવવાનો સ્થાનિક નગરજનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે, ત્યારે 9 ફેબ્રુઆરીથી કરમસદને સ્વતંત્ર દરજ્જો આપવાની માંગ સાથે ઘરણાં પ્રદર્શન શરૂ થશે. સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ દ્ધારા આ આંદોલનનું બ્યુગલ ફૂંકવામાં આવ્યું છે.
જેમાં સમિતિના પ્રમુખ મિથિલેશ અમીન તથા અન્ય નેતાઓ સહિત પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા તેમજ મંદિરના મહંતો, નગરના વેપારીઓ ઉપરાંત નગરજનો, ભાજપના કેટલાક કાર્યકરો અને સરદાર પ્રેમીઓ આ આંદોલનમાં જોડાશે. આ સ્થિતિ વચ્ચે તાજેતરમાં ભાજપના કાર્યકર ચિરાગ પટેલ સહિતના પાર્ટીના અન્ય કેટલાક કાર્યકરોએ કરમસદખાતે સરદાર પટેલના નિવાસ સ્થાનની મુલાકાત લઈ આ આંદોલનને ટેકો જાહેર કર્યો હતો. ખુદ ભાજપના કેટલાક નેતાઓ જ કરમસદને આણંદ મહાનગર પાલિકામાં જોડવાનો વિરોધ કરી કરમસદને સ્વતંત્ર દરજ્જો આપવાની માંગ કરી રહ્યા છે. 19 ફેબ્રુઆરી સુધી ઘરણાં પ્રદર્શન ચાલનાર છે. જેમાં કરમસદને આણંદ મહાનગર પાલિકામાં ન જોડવા અને તેને સ્વતંત્ર રાખવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવા સહિતના વિવિધ કાર્યક્રમો યોજી આંદોલન કરવામાં આવનાર છે.
