Sabarkantha: તલોદમાં અમાનવીય કૃત્ય, રૂપાલ ગામે ખેતરમાંથી નવજાત બાળકી મળી આવી

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના રૂપાલ ગામે અસંવેદનશીલ ઘટના સામે આવી છે, જ્યાં ખેતરના ખુલ્લા વિસ્તારમાંથી એક તાજી જન્મેલી નવજાત બાળકી મળી આવતા ચકચાર મચી જવા પામી છે. કોઈ અજાણી માતાએ આ માસૂમ બાળકીને જન્મ આપ્યા બાદ ત્યજી દીધી હોવાનું પ્રાથમિક અનુમાન છે.

સાબરકાઠાંના તલોદમાં નવજાત બાળકી મળી

પ્રાપ્ત માહિતી મુજબ, રૂપાલ ગામના એક ખેતરમાંથી સ્થાનિક લોકોને બાળકીના રડવાનો અવાજ સંભળાયો હતો. અવાજ સાંભળતા જ ગ્રામજનો તાત્કાલિક ખેતર તરફ દોડી ગયા હતા, જ્યાં તેમણે એક નવજાત બાળકીને ત્યજી દીધેલી હાલતમાં જોઈ હતી.માનવતા દાખવીને સ્થળ પર હાજર સ્થાનિક મહિલાઓએ તરત જ બાળકીને બચાવવાનો અને પ્રાથમિક હૂંફ આપવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે તાત્કાલિક 108 ઇમરજન્સી સેવા સહિતની ટીમને જાણ કરવામાં આવી હતી. 108ની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને બાળકીની જરૂરી પ્રાથમિક સારવાર શરૂ કરી હતી.

તાજી જન્મેલ બાળકીને અજાણી માતા મુકી ગઈ

બાળકીને ત્યજી દેવાના આ અમાનવીય કૃત્ય અંગે સ્થાનિકોએ પોલીસને પણ જાણ કરી હતી. સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચીને નવજાત બાળકીને વધુ સારવાર અને સુરક્ષા માટે હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે બાળકીને ત્યજી દેનાર અજાણી માતાને શોધવા માટે આસપાસના વિસ્તારમાં પૂછપરછ અને તપાસ શરૂ કરી છે. આ ઘટનાએ ફરી એકવાર સમાજમાં દીકરી પ્રત્યેની માનસિકતા અને સંવેદનશીલતા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *