ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળમાં ગેસ સિલિન્ડર લીકેજ થવાના કારણે રહેણાંક મકાનમાં આગ લાગવાની દુખદ ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં ઘરના બે સભ્યો ગંભીર રીતે દાઝી જતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. વેરાવળના ભીડીયા વિસ્તારમાં આવેલા ભીડભંજન મંદિર નજીકના એક રહેણાંક મકાનમાં આ ઘટના બની હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, ઘરમાં રાંધણ ગેસનું સિલિન્ડર લીકેજ થતાં અચાનક આગ ફાટી નીકળી હતી.
લીકેજ થતા રહેણાંક મકાનમાં ભીષણ આગ
મકાન સાંકડી જગ્યામાં હોવાથી જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ઘરમાં રહેલો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આ આગની ચપેટમાં આવતા ઘરમાં હાજર 02 વ્યક્તિઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી ઈજાગ્રસ્તોને પ્રથમ વેરાવળ સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
હાલ બંનેની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતા જ વેરાવળ ફાયર ફાઈટરની ટીમ તુરંત ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો, જેના કારણે આગ વધુ આસપાસના મકાનોમાં ફેલાતી અટકી હતી.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
