સુરત શહેરમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન આનંદીબેન પટેલે ગુજરાતના વર્તમાન સામાજિક માળખા અને ખાસ કરીને પાટીદાર સમાજમાં જોવા મળતા ભાગલા પર ખુલીને વાત કરી હતી. તેમણે સમાજને એકતાનો સંદેશ આપતા ‘પટેલવાદ’ પર આકરા પ્રહાર કર્યા હતા. આનંદીબેન પટેલે મંચ પરથી પ્રશ્ન કર્યો હતો કે, “આપણે ક્યાં સુધી કડવા અને લેઉવા પાટીદારના નામે વહેંચાયેલા રહીશું?” તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે સમાજમાં ઉભી થયેલી આ વહેંચણી પ્રગતિમાં બાધક છે.
મને પટેલ હોવાનો ગર્વ છેઃ આનંદીબેન પટેલ
તેમણે મંચ પર બિરાજમાન અન્ય અગ્રણીઓનો ઉલ્લેખ કરીને પાટીદાર સમાજને સંગઠિત થવા આહ્વાન કર્યું હતું. પોતાના સંબોધનમાં તેમણે વ્યક્તિગત ઉદાહરણ આપતા કહ્યું કે: હું પણ એક પટેલ જ છું અને મને પટેલ હોવાનો ગર્વ છે. પરંતુ મારામાં ક્યાંય ‘પટેલવાદ’ (જ્ઞાતિવાદની સંકુચિતતા) નથી. તેમણે ઉમેર્યું કે ગર્વ જ્ઞાતિના નામે ભાગલા પાડવામાં નહીં, પરંતુ નેતૃત્વ અને સેવા સાથે જોડાયેલા હોવા પર હોવો જોઈએ.
સુરત પ્રવાસ દરમિયાન આનંદીબેન પટેલે કરી વાત
આનંદીબેન પટેલે ગુજરાતના વર્તમાન સામાજિક વાતાવરણ પર ચિંતા વ્યક્ત કરતા સમજાવ્યું હતું કે જ્યારે આપણે મોટા પદ પર હોઈએ કે સમાજની સેવા કરતા હોઈએ, ત્યારે જ્ઞાતિવાદથી ઉપર ઉઠવું અનિવાર્ય છે. ગર્વ એ વાતનો હોવો જોઈએ કે આપણે સમાજના વિકાસ માટે શું યોગદાન આપ્યું છે. સુરત પ્રવાસ દરમિયાન તેમની આ ટકોર પાટીદાર સમાજના રાજકીય અને સામાજિક અગ્રણીઓમાં ભારે ચર્ચાનો વિષય બની છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
