રંગીલા રાજકોટના સીમાડે આવેલા માલિયાસણ વિસ્તારમાંથી એક માનવ કંકાલ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. માલિયાસણ પાસે આવેલા LOC પ્લાન્ટ નજીકથી આ કંકાલ મળી આવ્યું છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ કોઈ જૂની હત્યાનો મામલો હોવાની આશંકા સેવાઈ રહી છે, જેને પગલે રાજકોટ પોલીસ અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ની ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
હત્યા બાદ મૃતદેહને અવાવરુ જગ્યાએ ફેંક્યાની આશંકા
ઘટનાની મળતી માહિતી અનુસાર, માલિયાસણ LOC પ્લાન્ટ પાસે લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે, આ કંકાલ ઘણા સમય જૂનું હોઈ શકે છે. શરીરનો માત્ર હાડપિંજરનો ભાગ જ બાકી હોવાથી મૃતકની ઓળખ કરવી પોલીસ માટે પ્રથમ પડકાર છે. પોલીસને આશંકા છે કે, કોઈ અજાણ્યા શખ્સની હત્યા કરી પુરાવા નાશ કરવાના ઈરાદે મૃતદેહને આ નિર્જન જગ્યાએ ફેંકી દેવામાં આવ્યો હશે.
ફોરેન્સિક તપાસ બાદ ખુલશે રહસ્ય
ઘટનાની જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ફોરેન્સિક એક્સપર્ટની મદદથી કંકાલના નમૂના લેવામાં આવ્યા છે, જેથી મૃતકની જાતિ, ઉંમર અને મોતનું ચોક્કસ કારણ જાણી શકાય. પોલીસ હાલમાં આસપાસના વિસ્તારના ગુમ થયેલા વ્યક્તિઓની યાદી તપાસી રહી છે. આગામી સમયમાં DNA ટેસ્ટ દ્વારા મૃતકની ઓળખ પ્રસ્થાપિત કરવામાં આવશે.
આ પણ વાંચો – Rajkot News: સોમવારે જંગલેશ્વરમા ડિમોલિશન થવાની શક્યતા, અસરગ્રસ્તો હાઈકોર્ટના શરણે
