શહેરના પોશ ગણાતા નારણપુરા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અંગત અદાવત અને પૈસાની લેતીદેતીના મામલે થયેલી માથાકૂટમાં કેટલાક શખ્સોએ એક કારને નિશાન બનાવી તેના કાચ તોડી નાખતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.
નારણપુરામાં અંગત અદાવતમાં કારમાં તોડફોડ
મળતી માહિતી મુજબ, ફરિયાદી અને આરોપીઓ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી પૈસાની લેતીદેતી મુદ્દે વિવાદ ચાલી રહ્યો હતો. આ વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા આરોપીઓએ અદાવત રાખીને પાર્ક કરેલી કારના કાચ તોડી નાખી નુકસાન પહોંચાડ્યું હતું. જાહેર રોડ પર થયેલી આ પ્રકારની તોડફોડની ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
પૈસાની લેતીદેતી મુદ્દે થયેલી માથાકૂટ ઉગ્ર
ઘટનાની જાણ થતા જ નારણપુરા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે પ્રાથમિક તપાસમાં આ ઘટના અંગત અદાવતને કારણે બની હોવાનું સ્વીકાર્યું છે. હાલમાં પોલીસે આસપાસના CCTV ફૂટેજ મેળવવાની અને આરોપીઓને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે કે આ તોડફોડમાં અન્ય કેટલા લોકો સામેલ હતા.
આ પણ વાંચો: Unjha: નગરપાલિકા અને તાલુકા પંચાયતમાં આજથી ‘વહીવટદાર’ શાસનનો પ્રારંભ
