ઉનાળાની ગરમીને લીધે લીલા શાકભાજીની આવક ઓછી છે, જેના લીધે લીલા શાકભાજીના ભાવમાં કિલોએ રૂ.૨૦ થી ૪૦ સુધીનો વધારો થયો છે. જ્યાં લીલા મરચા રૂ.૩૦ના કિલો મળતા હતા, તે હાલમાં રૂ.૧૦૦ના કિલો, કોથમીર રૂ.૧૨૦ની કિલો અને ટામેટા રૂ.૪૦ના કિલો થઈ ગયા છે.
લીલા મરચાના ભાવોમાં અસહ્ય વધારો જોવા મળ્યો છે
જ્યારે સારા લીંબુ અત્યારે રૂ.૧૮૦ થી રૂ. ૨૦૦ કિલોની કિંમતે વેચાઈ રહ્યા છે. વેપારીઓના જણાવ્યા મુજબ, વધતી ગરમીને લીધે હાલમાં લીલા શાકભાજીની આવક ઓછી હોવાથી ભાવમાં વધારો થયો છે. જ્યારે લીલા મરચાના ભાવોમાં અસહ્ય વધારા અંગે વેપારીઓ કહી રહ્યા છે કે, આવક ઓછી છે અને માંગ વધુ હોવાથી ભાવ વધ્યા છે.
લીલા શાકભાજીના ભાવમાં વધારો થયો
લીલા શાકભાજીમાં ગવાર રૂ.૧૨૦, ભીંડા રૂ.૧૧૦, લસણ રૂ.૨૦૦, બટાકા રૂ.૩૦, ડુંગળી રૂ.૩૦, સરગવો રૂ.૭૦, દૂધી રૂ.૫૦ અને સીમલા મરચા રૂ.૯૦ કિલો થઈ ગયા છે. જયારે રમઝાનના કારણે બજારમાં ફળ-ફળાદીના ભાવમાં પણ આંશિક વધારો થયો છે. તરબૂચ રૂ.૨૫ પ્રતિ કિલો મળતું હતું તે હાલમાં રૂ.૩૫ના ભાવે મળી રહ્યું છે. કેરલાની સુંદરી કેરી રૂ.૧૦૦૦ની બે ડઝન અને કેળા રૂ.૭૦ ડઝન મળી રહ્યા છે. આ ઉપરાંત પપૈયું રૂ.૭૦ કિલો, દાડમ રૂ.૨૦૦ કિલો અને સફરજન રૂ.૧૬૦ થી ૨૦૦ પ્રતિ કિલોના ભાવે મળી રહ્યા છે.
