Haryana : જીંદમાં કલર ફેક્ટરીમાં ભીષણ આગ, 5 મહિલાઓના મોત

📅 Published: March 7, 2026 | 📂 Category: national

હરિયાણાના જીંદ જિલ્લામાં આવેલી એક કલર ફેક્ટરીમાં ભીષણ આગ લાગવાથી મોટો અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં 5 મહિલાઓના મોત થયા છે જ્યારે 12 અન્ય મહિલાઓ ગંભીર રીતે ઘાયલ થઈ છે. આ ઘટના હરિયાણાના Safidon વિસ્તારમાં આવેલી ગીતા કોલોનીમાં શનિવારે બપોરે બની હતી. અહીં હોળીના રંગો અને ગુલાલ બનાવતી એક ફેક્ટરીમાં અચાનક આગ લાગી અને થોડી જ વારમાં આખી ફેક્ટરી આગની લપેટમાં આવી ગઈ.

 ફેક્ટરીમાં લગભગ 20 લોકો

માહિતી અનુસાર, આ ફેક્ટરીમાં લગભગ 20 લોકો કામ કરતા હતા, જેમાં 15 મહિલાઓ અને પાંચ પુરુષોનો સમાવેશ થાય છે. આગ લાગી ત્યારે ઘણા કામદારો અંદર જ ફસાઈ ગયા હતા. આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ કે કામદારોને બહાર નીકળવાનો સમય પણ મળ્યો નહોતો.

5 મહિલા કામદારોના મોત

આ દુર્ઘટનામાં પાંચ મહિલા કામદારોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે 12 અન્ય લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. ઘાયલોને તરત જ નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી એકને સફિદોન સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. અન્ય ઘાયલોને અલગ અલગ હોસ્પિટલો જેમ કે Rohtak પીજીઆઈ, Hisar અને ખાનપુર મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યા છે. ડોક્ટરોના જણાવ્યા મુજબ કેટલાક ઘાયલોની હાલત હજુ પણ ગંભીર છે.

સ્થાનિક લોકોનું શું કહેવું છે ?

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, આગ લાગ્યા બાદ ફેક્ટરીમાંથી ધુમાડો અને ચીસો સાંભળીને આસપાસના લોકો તરત જ ત્યાં દોડી આવ્યા હતા. ફેક્ટરીનો મુખ્ય દરવાજો બંધ હોવાથી અંદર ફસાયેલા કામદારોને બહાર કાઢવામાં મુશ્કેલી પડી હતી. કેટલાક લોકોએ દિવાલ તોડી કામદારોને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન પોતાનો જીવ બચાવવા માટે ત્રણ મહિલાઓ ફેક્ટરીની છત પર ચઢી ગઈ અને ત્યાંથી નીચે કૂદી પડી. સદનસીબે તેઓ બચી ગઈ હતી. જોકે ઘણા કામદારો ગંભીર રીતે દાઝી ગયા હતા.

ગનપાઉડર જેવા પદાર્થોનો ઉપયોગ

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ફેક્ટરીમાં હોળીના રંગો અને ગુલાલ બનાવવા માટે રસાયણો તેમજ ગનપાઉડર જેવા પદાર્થોનો ઉપયોગ કરવામાં આવતો હતો. આગ લાગ્યા બાદ આ રસાયણોના કારણે આગ વધુ ઝડપથી ફેલાઈ ગઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

 ગીતા કોલોનીના રહેણાંક વિસ્તારમાં

આ ફેક્ટરી ગીતા કોલોનીના રહેણાંક વિસ્તારમાં છેલ્લા દોઢ વર્ષથી ચાલી રહી હતી. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ અહીં કોઈ ખાસ સુરક્ષા વ્યવસ્થા પણ નહોતી. ફેક્ટરીનો મુખ્ય દરવાજો દિવસભર બંધ રાખવામાં આવતો હતો અને માત્ર કામદારો આવતાં-જતાં સમયે જ ખોલવામાં આવતો હતો.

તપાસ ચાલી રહી

આ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર મહિલાઓમાં સિંઘપુરા ગામની 51 વર્ષીય પિંકી, સફિદોનના વોર્ડ નંબર 9 ની રહેવાસી 50 વર્ષીય ગુડ્ડી, દિગ્ગી મોહલ્લાની 40 વર્ષીય પૂજા અને આદર્શ કોલોનીની 45 વર્ષીય ઉષાનો સમાવેશ થાય છે. એક અન્ય મહિલાની ઓળખ હજુ સુધી કરવામાં આવી નથી. ઘટનાની માહિતી મળ્યા બાદ જિલ્લા પ્રશાસન અને પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે મકાન માલિક અને ફેક્ટરી માલિક સામે કેસ નોંધ્યો છે અને સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. ફોરેન્સિક ટીમે પણ ઘટનાસ્થળેથી પુરાવા એકત્રિત કર્યા છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, હાલમાં આ દુર્ઘટનાનું સાચું કારણ જાણવા માટે તપાસ ચાલી રહી છે. સરકાર દ્વારા મૃતકોના પરિવારજનોને અને ઘાયલોને નિયમ મુજબ વળતર આપવામાં આવશે.

આ પણ વાંચો : India oil policy : ‘અમને કોઈની પરવાનગીની જરૂર નથી’ રશિયા પાસેથી તેલ ખરીદી મુદ્દે ભારતનો મોટો સંદેશ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *