અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપેલા 2.38 કરોડના નકલી નોટ રેકેટમાં સુરતના કામરેજ સ્થિત ‘શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન’ આશ્રમની સંડોવણી ખુલતા ખળભળાટ મચી ગયો છે. આ દરમિયાન આશ્રમના મુખ્ય સંચાલક પ્રદીપનો એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં તે આપઘાતનો પ્રયાસ કરતો હોવાનું નાટક કરતો જોવા મળી રહ્યો છે.
લેણદારોથી બચવા સુસાઇડનો પ્રયાસ
તપાસમાં સામે આવ્યું છે કે, પ્રદીપે આશ્રમ માટે જમીન ખરીદવા અને આલીશાન બંગલો બનાવવા માટે અનેક લોકો પાસેથી લાખો રૂપિયા ઉછીના લીધા હતા. જ્યારે લેણદારોએ પોતાના રૂપિયા પરત માંગ્યા, ત્યારે પ્રદીપે તેમને પૈસા આપવાને બદલે ગાળાગાળી કરી ઝઘડો કર્યો હતો. લેણદારોના દબાણથી બચવા અને તેમને પોલીસ કેસમાં ફસાવી દેવાની ધમકી આપવા માટે તેણે આપઘાતનું નાટક કરી વિડિયો બનાવ્યો હતો, જેથી લેણદારો ડરી જાય અને ઉઘરાણી બંધ કરી દે.
આશ્રમની આડમાં કાળો કારોબાર
ધર્મના નામે આશ્રમ ચલાવતા પ્રદીપજીની અસલી ઓળખ હવે પોલીસ તપાસમાં છતી થઈ છે.લેણદારોને ડરાવવા માટે તેણે સુસાઇડ નોટમાં તેમના નામ લખીને બ્લેકમેલ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો.
પ્રદીપ સહિતના સાત આરોપીઓની કડક પૂછપરછ
હાલ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પ્રદીપ સહિતના સાત આરોપીઓની કડક પૂછપરછ હાથ ધરી છે. આ આશ્રમમાં અન્ય કઈ ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલતી હતી અને નકલી નોટોના નાણાં ક્યાં રોકવામાં આવ્યા છે, તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે.
