રાજ્યમાં ભેળસેળીયા તત્વો બેફામ બન્યા છે. ફૂડ વિભાગ અને આરોગ્ય વિભાગ વારંવાર નકલી ખાદ્ય પદાર્થો બનાવતા તત્વો પર દરોડા પાડતું હોવા છતાં નકલી ખાદ્ય પદાર્થો બનાવનારા તત્વોને જાણે કોઇ બીક રહી જ ના હોય તેમ લાગી રહ્યું છે. સુરતમાં ફરી એક વાર નકલી પનીર બનાવાની ફેક્ટરી ઝડપાતા ખળભળાટ મચી ગયો છે.
1401 કિલોગ્રામ શંકાસ્પદ પનીરનો મોટો જથ્થો જપ્ત
સુરત SOG પોલીસ તથા SMC ના ફૂડ સેફ્ટી વિભાગે સાથે મળીને પાંડેસરા વિસ્તારમાં શંકાસ્પદ પનીરનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. આ કાર્યવાહીમાં 1401 કિલોગ્રામ શંકાસ્પદ પનીરનો મોટો જથ્થો જપ્ત કરાયો છે . જેની કિંમત રૂપિયા 3.08.220 થાય છે . તે સાથે પામોલીન તેલના 16 ભરેલા ડબ્બા અને હાઈટેક મશીનરી મળી કુલ રૂપિયા 28.44.170નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પામોલીન તેલ અને એસીડીક એસીડના મિશ્રણથી પનીર બનાવાતું
પોલીસે આરોપી મહેશકુમાર પૂર્ણાશંકર શર્માની ધરપકડ કરી તપાસ કરતાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો કે આરોપી છેલ્લા બે વર્ષથી પામોલીન તેલ અને એસીડીક એસીડના મિશ્રણથી રોજનું 400 કિલો ‘એનાલોગ પનીર’ બનાવી અલગ-અલગ ડેરીઓમાં વેચતો હતો
પનીરનો જથ્થો પૃથ્થકરણ માટે મોકલી આપવામાં આવ્યો
હાલ શંકાસ્પદ પનીરનો જથ્થો પૃથ્થકરણ માટે મોકલી આપવામાં આવ્યો છે . જે રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ઘરવામાં આવશે. બીજી તરફ સંદેશ ન્યૂઝની ટીમ પણ આ નકલી પનીરની ફેક્ટરી ઉપર પહોંચી હતી.
ભારે ગંદકી વચ્ચે પનીર બનાવાતું હતું
સંદેશ ન્યુઝની ટીમને તપાસમાં જોવા મળ્યું હતું કે ભારે ગંદકી વચ્ચે પનીર બનાવાતું હતું. 2 વર્ષથી તે નકલી પનીરનો વેપલો કરીને અલગ અલગ ડેરીમાં પનીર સપ્લાય કરતો હતો.
