કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં આજે 10 માર્ચ બુધવારે 6 મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. મંત્રીમંડળે જળ જીવન મિશન 2.0ને મંજૂરી આપી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે જળ જીવન મિશન 2028 સુધી લંબાવવામાં આવશે. આ મિશન માટે રૂપિયા 8,70,000 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. વધુમાં, મંત્રીમંડળે મદુરાઈ એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જાહેર કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે.
જેવર એરપોર્ટના કનેક્ટિવિટી અંગે નિર્ણય લેવામાં આવ્યો
વધુમાં, જેવર એરપોર્ટના કનેક્ટિવિટી અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. વૈષ્ણવે જણાવ્યું હતું કે કેબિનેટે જેવર એરપોર્ટના ખર્ચમાં સુધારો કર્યો છે અને જેવર એરપોર્ટને ફરીદાબાદ સાથે જોડતા એલિવેટેડ રોડને મંજૂરી આપી છે. સૈંથિયા અને પાકુર વચ્ચે ચોથી રેલ લાઈન અને સંતરાગાછી અને ખડગપુર વચ્ચે ચોથી રેલ લાઈનને મંજૂરી આપવામાં આવી છે. વધુમાં, મધ્યપ્રદેશમાં હાઇવે પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે.
કેબિનેટ બેઠકમાં લેવાયેલા 6 મહત્વપૂર્ણ નિર્ણયો
- જળજીવન મિશન 2.0ને મળી મંજૂરી
- મદુરાઈ એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જાહેર કરાયું
- જેવર-ફરીદાબાદ વચ્ચે એલિવેટેડ રોડને મંજૂરી
- સૈંથિયા અને પાકુર વચ્ચે ચોથી રેલ્વે લાઈનને મંજૂરી
- સંતરાગાછીથી ખડગપુર વચ્ચે ચોથી રેલ્વે લાઈનને મંજૂરી
- મધ્યપ્રદેશના હાઈવે પ્રોજેક્ટને મંજૂરી
મદુરાઈ એરપોર્ટ રાજ્યના સૌથી જૂના એરપોર્ટમાંનું એક
મદુરાઈ એરપોર્ટ રાજ્યના સૌથી જૂના એરપોર્ટમાંનું એક છે. તે દક્ષિણ તમિલનાડુના એક મહત્વપૂર્ણ પ્રવેશદ્વાર તરીકે સેવા આપે છે અને પર્યટન અને યાત્રાધામોને પ્રોત્સાહન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ પ્રદેશના એકંદર વિકાસમાં ફાળો આપે છે. મદુરાઈ એરપોર્ટને આંતરરાષ્ટ્રીય દરજ્જો આપવાથી પ્રાદેશિક જોડાણ વધશે, વેપાર વધશે અને પ્રદેશમાં આર્થિક વિકાસને વેગ મળશે.
કેબિનેટ બેઠકમાં પીએમ મોદીએ આ સૂચનાઓ આપી
સૂત્રોના જણાવ્યા અનુસાર આજની કેબિનેટ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંત્રીઓને મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષની ભારતના નાગરિકો પર અસર ઘટાડવા માટે સાથે મળીને કામ કરવા અને કોઈપણ સંભવિત પડકાર માટે સંપૂર્ણ તૈયારી સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો.
આ પણ વાંચો : તેલ-ગેસના સંકટને લઇ PM મોદીને મળ્યા પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરી
