
– ભારતની નિકાસ 100 ટકા ટેક્સ ફ્રી ભારત-ઓમાન વચ્ચે મુક્ત વેપાર કરાર
– જેમ્સ-જ્વેલરી, કપડાં, એન્જિનિયરિંગ, ફાર્મા, ઓટોમોબાઈલ્સ જેવા ભારતના શ્રમ આધારિત સેક્ટર્સને ડયુટીમાં સંપૂર્ણ છૂટ
– ભારતના ડેરી, કૃષિ ઉત્પાદનો, સોના-ચાંદી બુલિયન, ઝવેરાત, ફૂટવેર જેવા સેક્ટર્સનો કરારમાં સમાવેશ નહીં
મસ્કત : ભારતે મધ્ય-પૂર્વના મુસ્લિમ દેશ ઓમાન સાથે ગુરુવારે મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા હતા, જેના હેઠળ ઓમાનમાં ભારતના ૯૮ ટકા સામાનની નિકાસ પર શૂન્ય ડયુટી લાગશે, જેમાં કાપડ, કૃષિ સહિતના ઉત્પાદનોનો સમાવેશ થાય છે. બીજીબાજુ ઓમાનથી આવતા ખજૂર, માર્બલ અને પેટ્રોકેમિકલ ઉત્પાદનો પર ભારત ડયૂટીમાં કાપ મૂકશે. અમેરિકન પ્રમુખ ટ્રમ્પે ભારતીય સામાન પર ૫૦ ટકાનો જંગી ટેરિફ નાંખ્યો છે ત્યારે આ કરારથી ભારતના એન્જિનિયરિંગ ગૂડ્સ અને ટેક્સટાઈલ જેવા શ્રમ આધારિત સેક્ટર્સના નિકાસકારોને યુરોપ અને આફ્રિકાના પ્રવેશ દ્વાર સમાન મધ્ય-પૂર્વના ઓમાનમાં ડયુટી મુક્ત પ્રવેશની સુવિધા મળશે.
