ક્ષત્રિય સમાજ વિશેની ટીકા ટિપ્પણી ચલાવી નહીં લેવાય

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized
  • રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર રૂપાલાનું ઉમેદવારી પત્ર રદ કરો : વિજયસિંહ જાડેજા પ્રમુખ
  • કડક પગલા લેવાય તેવી રજુઆત કરતા રૂપાલાના નિવેદનનો પડઘો હવે આણંદમાં પણ પડયો
  • ક્ષત્રિય સમાજના મા-દિકરીઓ વિશે વાણી વિલાસનો બફાટ કરેલ

કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલાનો વિરોધ દિન પ્રતિદિન વધુ ઉગ્ર બનતો જાય છે. ત્યારે આણંદમાં આજે સૌરાષ્ટ્ર-કચ્છ રાજપૂત સમાજના પ્રમુખ વિજયસિંહ જાડેજાના વડપણ હેઠળ ચૂંટણી અધિકારી અને કલેક્ટરને આવેદનપત્ર આપી રાજકોટ બેઠકના લોકસભાના ઉમેદવાર પુરષોત્તમ રૂપાલાનું ઉમેદવારી પત્ર રદ કરવાની માંગ કરી છે અને તેઓ સામે યોગ્ય કડક પગલા લેવાય તેવી રજુઆત કરતા રૂપાલાના નિવેદનનો પડઘો હવે આણંદમાં પણ પડયો છે.

રાજકોટના લોકસભાના ઉમેદવાર રૂપાલાએ રાજા મહારાજાઓ તથા ક્ષત્રિય સમાજ વિશે તથ્ય વિહોણી અભદ્ર ટીકા ટિપ્પણીઓ કરી સમગ્ર ક્ષત્રિય સમાજને મુલ્યો વિહીન ક્ષાત્રત્વ વિહીન, હિન્દુ વિહીન દર્શાવવાનો જે નિમ્ન પ્રયાશ કર્યો છે. તથા ક્ષત્રિય સમાજના મા-દિકરીઓ વિશે વાણી વિલાસનો બફાટ કરેલ છે. જે ઇતિહાસ સાથે સુસંગત નથી. તેવી રજુઆત કરતા સૌરાષ્ટ્ર-કચ્છ રાજપૂત સમાજ આણંદ એકમના પ્રમુખ વિજયસિંહ જાડેજાના વડપણ હેઠળ કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ છે. તેમાં વધુમાં જણાવ્યુ છે કે રાજકીય વ્યક્તિ દ્વારા કરેલ વાણી વિલાસથી તમામ જનતા જનાર્દન માટે રાજ્ય-રાષ્ટ્ર અને હિન્દુત્વની રક્ષા જતન માટે ક્ષત્રિય સમાજે અસંખ્ય બલીદાનો આપી અને 562 રાજ્યો સમર્પિત કરેલ છે. જે સર્વોચ્ચ ઐતિહાસિક ત્યાગ જેવી સારી ઘણી બાબતોની ઉપેક્ષા કરેલ છે. તેમજ સામાજિક શાંતિ તોડવાનો પ્રયાસ કરેલ છે અને ભગવાન શ્રીરામનું પણ ઘોર અપમાન કરેલ છે. જેથી ક્ષત્રિય સમાજની લાગણીઓ ખુબ જ દુભાયેલ છે. જેના પ્રત્યાઘાતરૂપે સમગ્ર ક્ષત્રિય સમાજ તેમના આ પ્રકારના હિન પ્રયાસનો સખત શબ્દોમાં વિરોધ નોંધાવીએ છીએ.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *