
ગાંધીનગર શહેરમાં ગરીબ શ્રમજીવીઓની સાથે અમિર ધંધાર્થીઓ પર પણ તંત્રનો વાર
વાસણા હડમતિયા વિસ્તારમાં ૧૦ જેસીબી સાથે તંત્રએ ઘમસાણ મચાવ્યું : સેક્ટર ૧, ૩, ૧૬,૧૭, ૨૩, ૨૮ અને ૨૯માં ૩૫૦ ઝુંપડાઓ હટાવાયાં : મંડપ, સિમેન્ટ અને એલ્યુમિનિયમના ગોડાઉનો પર બુલડોઝર ફર્યું
ગાંધીનગર: ગાંધીનગર શહેરને દબાણ મુક્ત કરવાના સરકારના સીધા આદેશના પગલે મેદાને ઉતરેલા પાટનગર યોજના વિભાગે શનિવારે ગરીબ શ્રમજીવીઓની સાથે અમિર ધંધાર્થીઓ પર વાર કર્યો હતો. સેક્ટર ૧, ૩, ૧૬,૧૭, ૨૩, ૨૮ અને ૨૯માં ૩૫૦ ઝુંપડાઓ હટાવવા ઉપરાંત વાસણા હડમતિયામાં૧૦ જેસીબી સાથે તંત્રે ઘમસાણ મચાવી ગેરકાયદે લેબર કોલોની, મંડપ, સિમેન્ટ અને એલ્યુમિનિયમના નવ ગોડાઉનો તોડી પાડયા હતાં.
મોંઘામુલની સરકારી જમીનો પર આડેધડ દબાણના મુદ્દે રાજ્યના પાટનગરની સ્થિતિ અન્ય કોઇપણ શહેરથી જુદી રહી નથી.
