સ્વામિનારાયણ ગોકુલધામ નાર, જે છેલ્લા 21 વર્ષથી શૈક્ષણિક અને સામાજિક સેવા પ્રવૃત્તિઓ ચલાવી રહ્યું છે, તેણે તેની વિકાસયાત્રામાં એક મહત્વપૂર્ણ વૈશ્વિક સિદ્ધિ હાંસલ કરી છે. સંસ્થાના સ્વપ્નદ્રષ્ટા પ.પૂ. શુકદેવપ્રસાદદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ, ગોકુલધામ હવે વૈશ્વિક શિક્ષણના ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે. નાર સ્થિત ગોકુલધામ ઇન્ટરનેશનલ કેમ્પસ ખાતે આવેલ ઘનશ્યામ પ્રિસ્કૂલ અને યુનાઇટેડ કિંગડમની પ્રતિષ્ઠિત ઓરેન્જમૂન ટ્રેનિંગ (U.K.) વચ્ચે આંતરરાષ્ટ્રીય શિક્ષક તાલીમ અને વિદ્યાર્થી વિનિમય કાર્યક્રમ માટે સમજૂતી કરાર (MOU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. આ પ્રસંગે ઓરેન્જમૂનના CEO બેરિંગ્ટન અને પ.પૂ. હરિકૃષ્ણ સ્વામીજી ઉપસ્થિત રહ્યા હતા. આ સહયોગથી ગોકુલધામના શિક્ષકોને રમત આધારિત નવીન શિક્ષણ પદ્ધતિઓ, સર્જનાત્મક વર્ગખંડ વ્યવસ્થાપન અને અદ્યતન બાળ મનોવિજ્ઞાન જેવી વૈશ્વિક સ્તરની તાલીમ મળશે. આનાથી શિક્ષકો વધુ સક્ષમ અને આધુનિક બનશે. આ તાલીમનો સીધો લાભ નાના વિદ્યાર્થીઓને આનંદમય, સર્જનાત્મક અને બાળક કેન્દ્રિત આંતરરાષ્ટ્રીય ધોરણનું શિક્ષણ પૂરું પાડશે. આનાથી તેમની સર્વાંગી પ્રગતિ અને ઉજ્જવળ ભવિષ્યને વેગ મળશે. આ આંતરરાષ્ટ્રીય સહયોગ ગોકુલધામના સંકલ્પને મજબૂત બનાવે છે કે “ગુરુકુળના મૂલ્યો સાથે વૈશ્વિક શિક્ષણની ગુણવત્તા જોડીને, ભવિષ્યના બાળકોને વિશ્વસ્તરીય નાગરિક બનાવવા.”
ગોકુલધામ અને યુકેની ઓરેન્જમૂન વચ્ચે MOU થયાં:આંતરરાષ્ટ્રીય શિક્ષક તાલીમ અને વિદ્યાર્થી વિનિમય કાર્યક્રમ માટે કરાર
📅 Published: November 19, 2025 |
📂 Category: Uncategorized
