મહેસાણાના રાધનપુર ચાર રસ્તા પર ટ્રાફિક નિયમન માટે મહાનગરપાલિકા દ્વારા ટ્રાફિક સિગ્નલ ચાલુ કરવાની કામગીરી ચાલી રહી છે. જેમાં કેબલ નખાઇ ગયા પછી હાલ નવા ત્રણ પોલ સિગ્નલ માટે ઊભા કરી, કંટ્રોલ પોઇન્ટથી ટ્રાફિક સિગ્નલ કાર્યરત થશે. છેલ્લા ઘણા સમયથી મંથરગતિએ ચાલતી કામગીરી હવે આગામી ચારેક દિવસમાં ઇન્સ્ટોલેશનની કામગીરી પૂર્ણ થશે અને ટેસ્ટિંગ બાદ ટ્રાફિક સિગ્નલ ચાલુ કરવામાં આવશે. મહાનગરપાલિકાની ઓનિક્સ એજન્સીના પ્રોજેક્ટ મેનેજરે કહ્યું કે, રાધનપુર ચોકડી કેબલ નેટવર્કિંગ કરી દેવાયું છે. હયાત 11 પોલ છે, વધુ ત્રણ પોલ સિગ્નલ માટે નાંખવાના છે. જેમાં બે પોલ સર્કલ વચ્ચે અને એક પોલ સ્વામિનારાયણ મંદિર સાઇડ લાગશે. ટૂંક સમયમાં આ કામગીરી પૂર્ણ થશે અને ટેસ્ટિંગ કરી ટ્રાફિક સિગ્નલ ચાલુ થશે. દરેક સાઇડથી બે પોલ પર સિગ્નલ જોઇ શકાશે રાધનપુર ચોકડી પર ચારેય બાજુથી આવતાં જતાં વાહનચાલકો તેમની બાજુથી બે પોલ ઉપર સિગ્નલ જોઇ શકશે. એટલે, ચાર બાજુના 8 પોલ ઉપર સિગ્નલ લાગશે. આ ઉપરાંત પગપાળા કે સાયકલ લઇને રોડ ક્રોસિંગ માટે પણ પોલ ઉપર સિગ્નલ લાગશે. કુલ મળીને 14 પોલ ઉપર સિગ્નલમાં પીળી, લીલી અને લાલ લાઇટ લાગશે.
ચારેક દિવસમાં કામગીરી પૂરી કરી ટેસ્ટિંગ બાદ સિગ્નલ ચાલુ કરાશે:રાધનપુર ચોકડી પર 14 ટ્રાફિક સિગ્નલથી વાહન નિયમન થશે
📅 Published: November 19, 2025 |
📂 Category: Uncategorized
