જૂનાગઢ અશાંત ધારો કમિટી:અશાંત ધારો લાગુ કરવા કલેક્ટરે કમિટી રચી:જૂનાગઢના ખામધ્રોડ, ઉપરકોટ સહિતના વિસ્તારોમાં પોલીસ-મામલતદારની અધ્યક્ષતામાં સર્વે શરૂ.

📅 Published: November 19, 2025 | 📂 Category: Uncategorized

જૂનાગઢ શહેરના જુદા જુદા વિસ્તારોમાં લાગુ કરવાની રજૂઆતોને ગંભીરતાથી ધ્યાને લઇને જિલ્લા કલેકટર અનિલ રાણાવસિયા દ્વારા તાત્કાલિક ધોરણે એક વિશેષ કમિટીની રચના કરવામાં આવી છે. લાંબા સમયથી શહેરના અમુક સંવેદનશીલ વિસ્તારોમાં આ કાયદો લાગુ કરવા માટે સ્થાનિક લોકો અને સંગઠનો દ્વારા ઉગ્ર માગણીઓ થઈ રહી હતી, જેને પરિણામે વહીવટી તંત્રએ આ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આ કમિટી દ્વારા કયા કયા વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવો તે સહિતની જુદી જુદી બાબતો પર વ્યાપક સર્વેક્ષણનું કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે.​ જૂનાગઢ પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આ અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે, જુનાગઢ શહેરના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં અશાંત ધારો લાગુ કરવા માટે અનેક રજૂઆતો છેલ્લા ઘણા દિવસોમાં જિલ્લા કલેકટર, મુખ્યમંત્રી કાર્યાલય તેમજ અન્ય સત્તાધીશોને થઈ છે. આ તમામ રજૂઆતોને એકીકૃત કરીને હવે જિલ્લા કલેકટર અનિલ રાણાવસિયા દ્વારા સત્તાવાર રીતે આ કમિટીની રચના કરવામાં આવી છે.​​ આ કમિટીની રચના પોલીસ અને મામલતદારની અધ્યક્ષતામાં કરવામાં આવી છે. આ કમિટીમાં માત્ર મહેસૂલી અને પોલીસ વિભાગના અધિકારીઓ જ નહીં, પરંતુ અન્ય ટેકનિકલ વિભાગોના અધિકારીઓને પણ સામેલ કરવામાં આવ્યા છે. કમિટીમાં ટાઉન પ્લાનિંગ વિભાગ, સીટી સર્વેયર સહિત જુદા જુદા વિભાગના અધિકારીઓની સંયુક્ત ટીમ બનાવવામાં આવી છે. આ બહુ-વિભાગીય કમિટી બનાવવાનો મુખ્ય હેતુ એ છે કે, આ વિસ્તારની ભૌગોલિક અને સામાજિક-આર્થિક સ્થિતિનો સંપૂર્ણ અને નિષ્પક્ષ અહેવાલ તૈયાર કરી શકાય.​ આ કમિટીનું મુખ્ય કાર્ય આખું મેપ તૈયાર કરવાનું રહેશે. આ મેપ તૈયાર કરવા માટે માત્ર વર્તમાન પરિસ્થિતિ જ નહીં, પરંતુ ભૂતકાળની ઘટનાઓનો પણ ઝીણવટભર્યો અભ્યાસ કરવામાં આવશે. આ તમામ વિસ્તૃત માહિતીના આધારે રિપોર્ટ તૈયાર કરાશે. કમિટી આ રિપોર્ટમાં સ્પષ્ટપણે સૂચનો કરશે કે કયા કયા વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવો કે નહીં. અંતિમ રિપોર્ટ તૈયાર કરીને જિલ્લા કલેકટરને દરખાસ્ત મુકવામાં આવશે, જેના પર અંતિમ વહીવટી નિર્ણય લેવામાં આવશે.​ અશાંત ધારો લાગુ કરવા માટે શહેરના જુદા જુદા વિસ્તારમાંથી રજૂઆતો જિલ્લા કલેકટર, મુખ્યમંત્રી સહિતનાઓને કરાઈ હતી. જે વિસ્તારની વાત કરીએ તો મુખ્યત્વે ખામધ્રોડ રોડ, ઉપરકોટ અને જોશીપરાના અનેક વિસ્તારોમાં આ કાયદો લાગુ કરવાની રજૂઆતો કરવામાં આવી હતી. આ વિસ્તારોમાં મિલકતોના વેચાણ અને કબજાને લઈને સ્થાનિકોમાં ઊભી થયેલી અસુરક્ષાની ભાવના દૂર કરવા માટે આ કાયદાની માગણી થઈ હતી.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *