પાલનપુરના મલાણામાં ખેડૂત પર હુમલો કરનારા ત્રણ શખ્સ સામે ફરિયાદ નોંધાઈ હતી. મલાણા ગામના ખેડૂત પ્રવિણભાઈ ધુડાભાઈ જેગોડા સોમવારે સવારના પોણા આઠ વાગ્યે ડેરીમાં દૂધ ભરાવવા ગયા હતા. તેઓ લાઇનમાં આગળ ગયા હતા ત્યારે ગામના પરાગભાઈ રગાભાઈ ભુતડીયાએ વાંધો ઉઠાવતાં તકરાર સર્જાઈ હતી. પ્રવિણભાઈએ શાંતિપૂર્વક દૂધ ભરાવી વાહન પાસે જતા જ પરાગભાઈ, શામળભાઈ રગાભાઈ ભુતડીયા અને કમલેશભાઈ અમરાભાઈ ભુતડીયાએ મળીને તેમને અપશબ્દો બોલી હુમલો કર્યો હતો. આ દરમિયાન શામળભાઈએ છાતીમાં ધક્કો મારી ફટકો કર્યો હતો જ્યારે કમલેશભાઈએ લાફો માર્યો હતો. પરાગભાઈ દૂધની બરણી ઉઠાવી વધુ મારવા જતા ગામલોકોએ વચ્ચે પડી પ્રવિણભાઈને બચાવ્યા હતા. આરોપીઓ જતા જતા જે બચી ગયો છે, હવે જાનથી મારી નાખીશું જેવી ધમકી આપી જતા રહ્યા હતા. આ અંગે પ્રવિણભાઈએ ત્રણેય શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.
ત્રણ સામે ફરિયાદ:મલાણા ગામમાં ખેડૂત પર હુમલો
📅 Published: November 19, 2025 |
📂 Category: Uncategorized
