નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના મરોલી ગામમાં વહેલી સવારે મરોલી બજાર વિસ્તારમાંથી પસાર થઈ રહેલી શાકભાજી ભરેલી વાનમાં અચાનક આગ લાગી હતી. ચાલકની સમયસૂચકતાને કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી. વાન મરોલી બજારમાંથી પસાર થઈ રહી હતી ત્યારે ચાલકને એન્જિન તરફથી ધુમાડો નીકળતો દેખાયો હતો. ચાલકે તુરંત જ વાનમાંથી નીચે ઉતરીને પોતાની સુરક્ષા સુનિશ્ચિત કરી હતી. ચાલક બહાર નીકળ્યાની ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જોતજોતામાં આખી વાન આગની લપેટમાં આવી ગઈ હતી અને સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ નવસારી ફાયર વિભાગની ટીમ ફાયર ફાયટરો સાથે સ્થળ પર પહોંચી હતી. ફાયરકર્મીઓએ પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો અને તેને વધુ ફેલાતી અટકાવી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હોવા છતાં, શાકભાજી ભરેલી વાન બળીને ખાખ થઈ જતાં વાન ચાલકને મોટું આર્થિક નુકસાન થયું છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી.
નવસારીના મરોલી બજારમાં શાકભાજી વાનમાં આગ લાગી:ચાલકે સમયસૂચકતા વાપરતા મોટી જાનહાનિ ટળી, વાન બળીને ખાખ
📅 Published: November 20, 2025 |
📂 Category: Uncategorized
