
National News: દિલ્હીમાં વિદેશમંત્રી એસ જયંશકરે પૉલેન્ડના નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી રાડોસ્લાવ સિકોર્સ્કી સાથે દ્વિપક્ષીય વાતચીતમાં પૉલેન્ડના આતંકવાદને લઈને રહેલા વલણ પર કડક વાંધો ઉઠાવ્યો છે. જયશંકરે પૉલેન્ડના વિદેશમંત્રીને કહ્યું છે કે તેમના દેશે આતંકવાદ સામે ઝીરો ટોલરન્સ નીતિ દેખાડવી જોઈએ, પડોશમાં વધી રહેલા આતંકવાદ(પાકિસ્તાન)ના માળખાને ખાતર પાણી દેવામાં મદદ કરવી ન જોઈએ.
સિલેક્ટિવ ટાર્ગેટ કરવું અયોગ્ય!
વિદેશમંત્રી એસ જયંશકરે પૉલેન્ડને રોકડું પરખાવતા કહ્યું કે, ‘અમે યુક્રેન સંઘર્ષ માટે હંમેશા પોતાના વિચાર દુનિયા સામે રાખ્યા છે, પણ ભારતને સિલેક્ટિવ ટાર્ગેટ કરવું અયોગ્ય અને અન્યાયપૂર્ણ છે, આ સંપૂર્ણ રીતે પાયાવિહોણું છે, અને ફરી આજે કહું છું કે ભારત પોતાના હિતો સામે કોઈ પણ પ્રહારના બેવડા માપદંડનો સ્વીકાર નહીં કરે’
