પાટણ-ડીસા હાઈવે પર કિમ્બુવા ગામ નજીક પાંચ દિવસ પહેલાં બાઈક અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. બાઈક સામે અચાનક શ્વાન આવી જતાં ચાલકે કાબુ ગુમાવ્યો હતો. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા રણજીતજી કાંતિજી ઠાકોરનું પાંચ દિવસની સારવાર બાદ મૃત્યુ થયું હતું. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ ઘટના પાંચ દિવસ પહેલાં, તા. 13/11/25 ના રોજ બપોરે બની હતી. કિમ્બુવા ગામના વિનુજી કાંતિજી ઠાકોર અને તેમના મોટાભાઈ રણજીતજી બાઈક પર સરસ્વતીના વડુ ગામેથી ડીઝલ લઈને પરત ફરી રહ્યા હતા. તેઓ પાદરડી ગામે તેમના વેવાઈના ઘરેથી રણજીતજીનું બાઈક લેવા જઈ રહ્યા હતા. વિનુજી બાઈક ચલાવી રહ્યા હતા અને રણજીતજી પાછળ બેઠા હતા. કિમ્બુવા હાઈવે પર વડલાથી આશરે અડધા કિલોમીટર દૂર ચારૂપ ગામ જવાના રોડ પર પહોંચતા જ અચાનક એક શ્વાન બાઈકના આગળના ટાયર સાથે ભટકાયું હતું. જેના કારણે બાઈક ચાલક વિનુજીએ કાબુ ગુમાવ્યો અને બંને ભાઈઓ રોડ પર પટકાયા. આ અકસ્માતમાં રણજીતજીને ગંભીર ઈજાઓ થઈ હતી, જ્યારે વિનુજીને પણ ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત રણજીતજીને તાત્કાલિક પાટણની જનતા હોસ્પિટલમાં સિટી સ્કેન કરાવ્યા બાદ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વધુ સારવાર માટે તેમને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં પણ લઈ જવામાં આવ્યા, પરંતુ સારવારનો ખર્ચ વધુ હોવાથી તેમને પરત પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડોકટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મૃતક રણજીતજી કાંતિજી ઠાકોરના ભાઈ વિનુજી ઠાકોરે સરસ્વતી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પાટણમાં બાઇક સાથે શ્વાન ભટકાતા અકસ્માત:ઇજાગ્રસ્ત યુવકનું પાંચ દિવસની સારવાર બાદ મોત, અન્ય એક ઇજાગ્રસ્ત
📅 Published: November 18, 2025 |
📂 Category: Uncategorized
