પોરબંદરના ચૂનાના ભઠ્ઠા નજીક આવેલા પેટ્રોલ પંપ વિસ્તારમાં જૂની અદાવતને કારણે મારામારીની ઘટના બની છે. આ ઘટનામાં એક યુવક પર લાકડા વડે હુમલો કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, રિયાજ રૂંઝા, સમીર ઉર્ફે ટાર્જન યુસુફભાઈ ગરાણા અને નાદીર ફેજલખાન પઠાણે સમાધાનના બહાને યુવકને બોલાવ્યો હતો. બાદમાં ત્રણેય આરોપીઓએ યુવકને ઢસડીને લાકડાથી હુમલો કર્યો અને અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઘટનાની જાણ થતાં કીર્તિ મંદિર પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. યુવક અને તેના મિત્રોના નિવેદનોના આધારે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં આ મારામારી જૂની અદાવતનું જ પરિણામ હોવાનું સ્પષ્ટ થયું છે. પોલીસે ઝડપી કાર્યવાહી કરતા રિયાજ યુસુફ રૂંઝાની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી લીધી છે. તેની પાસેથી ઘટનાની વધુ વિગતો મેળવવા માટે પૂછપરછ ચાલી રહી છે. જ્યારે અન્ય બે આરોપીઓની શોધખોળ માટે પોલીસ ટીમો જુદા જુદા સ્થળોએ રવાના થઈ તપાસ તેજ બનાવી છે. આશરે સાંજે 6 વાગ્યે કીર્તિ મંદિર પોલીસ સ્ટેશને આરોપી સાથે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન પંચનામું હાથ ધર્યું હતું. પોલીસ વધુ પુરાવા એકત્રિત કરી સમગ્ર પ્રકરણનો પર્દાફાશ કરવાની દિશામાં તપાસને ગતિ આપી રહી છે.
પોરબંદરમાં જૂની અદાવતને કારણે મારામારીની ઘટના:કીર્તિ મંદિર પોલીસ સ્ટેશને આરોપી સાથે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન પંચનામું હાથ ધર્યું
📅 Published: November 18, 2025 |
📂 Category: Uncategorized
