પોરબંદર એલ.સી.બી.એ સાત વર્ષથી ફરાર સોનાના દાગીના ચોરીના બે આરોપી મહિલાઓને દાહોદમાંથી ઝડપી પાડી છે. આ બંને મહિલાઓ ૨૦૧૮માં કીર્તિ મંદિર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી સોનાની દુકાનમાંથી દાગીનાની ચોરીના ગુનામાં સંડોવાયેલી હતી. ઝડપાયેલી મહિલાઓમાં ચંદાબેન ઉર્ફે ચંદ્રીકા વા/ઓ ચરનભાઈ બાદલભાઈ સીંદે અને સોનાબેન ઉર્ફે સોનલ વા/ઓ યુવરાજભાઈ બાદલભાઈ સીંદેનો સમાવેશ થાય છે. તેઓ છેલ્લા સાત વર્ષથી પોલીસ પકડથી બચવા માટે ફરાર હતી. પોલીસને મળેલી માહિતી મુજબ, આ બંને બહેનો અગાઉ રાજકોટ-અમદાવાદ હાઇવે પર સાત હનુમાન મંદિર પાસે, મફ્તીયાપરા, તેમજ અમદાવાદ-મુંબઈ હાઇવે પર વાઘોડિયા ચોકડી અને વડોદરામાં ઓવરબ્રિજ નીચેના વિસ્તારોમાં રહેતી હતી. હાલમાં તેઓ દાહોદ ટાઉનમાં રહેતી હોવાનું જાણવા મળ્યું હતું. પોરબંદર એલ.સી.બી.એ દાહોદમાં તપાસ માટે એ.એસ.આઈ. ઉદયભાઈ વરુ, હેડ કોન્સ્ટેબલ લક્ષ્મણભાઈ ઓડેદરા અને કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનના મહિલા પોલીસ કોન્સ્ટેબલ કીર્તિબેન ઓડેદરાની ટીમ મોકલી હતી. આ ટીમે બંને બહેનોને ઝડપી પાડીને આગળની કાર્યવાહી માટે કીર્તિ મંદિર પોલીસ સ્ટેશન લાવવામાં આવી છે. પોલીસ આ મામલામાં વધુ તપાસ હાથ ધરી રહી છે અને આરોપી બહેનો પાસેથી ગુનાની વિગતવાર માહિતી મેળવી રહી છે. એલ.સી.બી.નું કહેવું છે કે આ કાર્યવાહીથી સોનાની ચોરીના અન્ય નેટવર્ક અને તેમાં સંડોવાયેલા ભાગીદારોને ઝડપથી શોધી કાઢવામાં મદદ મળશે.
પોરબંદર LCBએ 7 વર્ષથી ફરાર 2 મહિલા પકડી:સોનાના દાગીના ચોરી કેસમાં દાહોદથી ધરપકડ
📅 Published: November 18, 2025 |
📂 Category: Uncategorized
