બનાસકાંઠામાં ખેડૂતો અને ભારતીય કિસાન સંઘે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ટેકાના ભાવે મગફળી ખરીદી અંગે રજૂઆત કરી છે. ખેડૂતોએ 35 કિલોની જગ્યાએ 30 કિલોની ભરતી કરવાની માંગ કરી છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર, કમોસમી વરસાદને કારણે મગફળીને નુકસાન થયું છે, જેના કારણે વજન ઓછું આવે છે. સરકાર દ્વારા 35 કિલોની ભરતીનો નિયમ બનાવવામાં આવતા ખેડૂતોની મગફળી રિજેક્ટ કરવામાં આવી રહી છે. રિજેક્ટ થયેલો માલ ખેડૂતોને ટેકાના ભાવ (₹1452) ને બદલે ખુલ્લા બજારમાં ₹1000 થી ₹1100 માં વેચવો પડે છે, જેનાથી તેમને મોટું નુકસાન થઈ રહ્યું છે. સરકારી કોથળામાં પણ 35 કિલો મગફળી સમાતી ન હોવાનો ખેડૂતોએ દાવો કર્યો છે. ખેડૂતોએ જણાવ્યું કે અન્ય જિલ્લાઓમાં 30 થી 32 કિલોની ભરતી કરવામાં આવે છે, પરંતુ બનાસકાંઠામાં આ સુવિધા ઉપલબ્ધ નથી. તેમણે તાત્કાલિક અસરથી 30 કે 32 કિલોની ભરતીથી ખરીદી શરૂ કરવાની માંગ કરી છે. જો આ માંગણી સ્વીકારવામાં નહીં આવે, તો રિજેક્ટ થયેલો તમામ મગફળીનો જથ્થો કલેક્ટર કચેરી સામે ઢગલા કરવામાં આવશે તેવી ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે.
બનાસકાંઠામાં ખેડૂતોની મગફળી ખરીદીમાં 30 કિલો ભરતીની માંગ:35 કિલોના નિયમ સામે વિરોધ, માંગણી નહીં સ્વીકારાય તો મગફળીનો જથ્થો કલેક્ટર કચેરી સામે ઢગલો કરવાની ચીમકી
📅 Published: November 18, 2025 |
📂 Category: Uncategorized
