
Nasa Report on stubble burning: રાજધાની દિલ્હીની હવા હાલ ખતરનાક પ્રદુષણના કારણે ઝેરી બની ગઈ છે. અનેક વખત સરકાર દિલ્હીમાં વધતાં પ્રદૂષણ માટે ખાસ કરીને પરાળીને જવાબદાર ઠેરવે છે ત્યારે ઉત્તર ભારતમાં પરાળી સળગાવવાની રીત હવે બદલાઈ ગઈ છે. આ નવી રીત વાયુ પ્રદૂષણ માટે ગંભીર પડકાર સાબિત થઈ શકે છે. NASA(નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન)ના વૈજ્ઞાનિકોએ ઉપગ્રહના ડેટા વિશ્લેષણ બાદ ઘટસ્ફોટ કર્યો છે કે પંજાબ અને હરિયાણામાં ખેડૂતો હવે પરાળી સાંજના 4થી 6 વચ્ચે સળગાવે છે. આ સમય MODIS અને VIIRS જેવા મોનિટરિંગ ઉપગ્રહોના પસાર થયા પછીનો છે, જે દિવસમાં ફક્ત એક કે બે વાર જ જેતે વિસ્તારને સ્કેન કરે છે. પરિણામે, મોડી સાંજે લાગેલી આગને સંપૂર્ણપણે ટ્રેક કરવી કઠિન છે.
