સયાજીગંજમાં મેદાનમાં કચરામાં મંગળવારે બપોરે 12-30ના સુમારે આગ લાગી હતી, જેની ઝપટમાં આવતાં એક્સયુવી સહિત 2 કાર આગમાં નાશ પામી હતી. કચરાના ઢગલામાં લાગેલી આગ ફેલાતાં કાર સુધી આવી હતી. ફાયરબ્રિગેડે કચરાના ઢગલાની અને કારની આગ બુઝાવી દીધી હતી. સયાજીગંજના અનંત એપાર્ટમેન્ટની પાસે મેદાનના કચરામાં અને ગાડીઓમાં આગ લાગી છે, તેવો કોલ ફાયર વિભાગને આવતાં બદામડીબાગ ફાયરબ્રિગેડનો સ્ટાફ પહોંચ્યો હતો. આગને પગલે ધુમાડો છવાઇ ગયો હતો સાથે બે કાર ભડભડ સળગી હતી. આગ વધુ ન ફેલાય તે માટે કેટલીક કાર ત્યાંથી હટાવી લેવાઇ હતી. બંને કાર નવી હોવાનું જાણવા મળે છે. કચરો ક્યાંથી ઠલવાય છે,હોટેલ અને લારીઓ કે દુકાનોમાંથી?
આગ બાદ સ્થાનિકોએ મેદાનમાં નખાતા કચરા વિશે ઉગ્ર રજૂઆત કરી હતી. લોકોએ કહ્યું કે, કચરામાં એંઠવાડ, પ્લાસ્ટિકની કોથળી અને ફોમ, પૂઠાં જેવી ચીજો રોજેરોજ ફેંકાય છે અને ત્યાંથી કચરો ઉઠાવાતો નથી. આગ પહેલાં કચરામાં લાગી કે કારમાં, લાશ્કરો પણ અજાણ
આગ પહેલાં કચરામાં લાગી કે કારમાં તે પ્રશ્નનો જવાબ ફાયરબ્રિગેડ પાસે પણ નથી. ફાયરબ્રિગેડના અધિકારીએ કહ્યું કે, કચરા અને કાર વચ્ચે 8થી 10 ફૂટનું અંતર હતું. નોંધનીય છે કે, કાર હતી ત્યાં લોકોની પાંખી અવર-જવર છે. કચરાના ઢગલામાં આગ બાદ ફેલાઇને કાર સુધી આવી ત્યાં સુધી કોઇને જાણ ન થાય તે પણ નોંધપાત્ર બાબત છે.
ભાસ્કર ઈનસાઈડ:સયાજીગંજમાં મેદાનમાં કચરામાં આગ નજીકમાં પાર્ક કરેલી બે કાર બળી ગઈ
📅 Published: November 19, 2025 |
📂 Category: Uncategorized
