
માળિયા મિંયાણામાં નોળિયો કરડતાં વૃદ્ધાનું મોત લાલબત્તીરૂપ કિસ્સો : 95 ટકા કેસમાં રખડતા કૂતરાથી સંક્રમણ : એક વખત રેબિસ વાયરસનાં સકંજામાં આવ્યા પછી હડકવાનો કોઈ ઈલાજ નથી : 100 % મોત નક્કી
રાજકોટ, : તાજેતરમાં બનાસકાંઠાનાં નરાસળ ગામમાં ભાગીયા તરીકે કામ કરતા યુવકમાં હડકવાના લક્ષણ જોવા મળ્યા હતા. એ યુવાનને ત્રણ મહિના પહેલા શ્વાન કરડયું હતું, જે બાદ આ યુવાન શ્વાન જેવો અવાજ કાઢે છે અને રસ્તાઓ પર ચાર પગથી ચાલવા સહિત શ્વાન જેવો વ્યવહાર કરે છે. એ પહેલા જાન્યુઆરીમાં ગાંધીનગરમાં નિવૃત આઈએએસ અધિકારીની પરણિત પુત્રીને કૂતરૂં કરડયા બાદ હડકવા ઉપડવાથી મોત થયું હતું તો હવે સૌનાં આશ્ચર્ય વચ્ચે માળિયા મિંયાણાના મોટાભેલા ગામમાં નોળિયો કરડતાં હડકવા ઉપાડવાથી 70વર્ષીય વૃદ્ધાએ જીવ ગુમાવ્યાનો લાલબત્તીરૂપ કિસ્સો સામે આવ્યો છે. એ પરથી લોકોમાં જાગૃતિ લાવવી જરૂરી છે કે, માત્ર શ્વાન નહીં, પરંતુ બિલાડી, ભૂંડ, વાંદરો, શિયાળ, નોળિયો, ચામાચીડિયું તો ઠીક રેબિસ વાયરસથી સંક્રમિત ગાય, ભેંસ, બળદ જેવા પ્રાણીઓ કરડવાથી કે તેમની લાળથી પણ હડકવાનું જોખમ ઉભું થાય છે.
