મોરબી-માળિયા હાઈવે પર ભરતનગર ગામ નજીક રાત્રિના સમયે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક ટ્રક ચાલકે ત્રિપલ સવારી બાઇકને હડફેટે લેતા બે યુવાનોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે એક યુવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. મૃતકોની ઓળખ મૂળ મધ્યપ્રદેશના અમિતભાઈ રમેશભાઈ વિશ્વકર્મા (ઉં.વ. 22) અને શિવરામભાઈ ભેરુસિંહ ભાભર (ઉં.વ. 22) તરીકે થઈ છે. તેઓ રવાપર નદી ગામ પાસે આવેલ એક્સપર્ટ પાર્ટીકલ બોર્ડ ખાતે રહેતા હતા અને અન્ય એક વ્યક્તિ સાથે બાઇક પર પસાર થઈ રહ્યા હતા. અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા ત્રીજા યુવાનને પ્રાથમિક સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ વધુ સારવાર અર્થે રાજકોટ લઈ જવામાં આવ્યો છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. એ.બી. મિશ્રા અને તેમની ટીમ દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવી રહી છે અને ફરિયાદ નોંધવાની તજવીજ ચાલી રહી છે.
મોરબી નજીક ટ્રક-બાઈક અકસ્માતમાં બે યુવાનના મોત:ટ્રકે ત્રિપલ સવારી બાઇકને હડફેટે લીધી, એક ગંભીર ઇજાગ્રસ્ત
📅 Published: November 19, 2025 |
📂 Category: Uncategorized
