વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તામિલનાડુના કોઇમ્બતુર શહેરમાંથી ‘પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN)’ યોજનાનો 21મો હપ્તો રિલીઝ કરશે. ગુજરાતના 49 લાખથી વધુ ખેડૂતો સહિત દેશભરમાં 9 કરોડથી વધુ ખેડૂતોને કુલ ₹18,000 કરોડથી વધુની સહાય સીધી તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર થશે. આ અનુસંધાને ગાંધીનગર ખાતે રાજ્ય સ્તરનો મુખ્ય કાર્યક્રમ યોજાશે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અધ્યક્ષતા કરશે અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી તથા કૃષિ રાજ્ય મંત્રી રમેશભાઈ કટારા ઉપસ્થિત રહેશે. ગુજરાતના 49.31 લાખથી વધુ ખેડૂતોને ₹986 કરોડની સહાય
કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, પીએમ-કિસાનના 21મા હપ્તા હેઠળ ગુજરાતના 49.31 લાખથી વધુ ખેડૂત પરિવારોને ₹986 કરોડથી વધુની સહાય સીધી DBT દ્વારા જમા થશે. ગાંધીનગરના કાર્યક્રમમાં મુખ્યમંત્રીના હસ્તે પીએમ-કિસાન યોજનાના લાભાર્થીઓ સહિત કૃષિ અને બાગાયતની વિવિધ યોજનાના ખેડૂતોને સહાય-મંજૂરીપત્રોનું વિતરણ થશે. વડાપ્રધાન મોદી દેશભરના ખેડૂતોને વર્ચ્યુઅલ સંબોધન પણ કરશે. રાજ્યભરના કૃષિ સંસ્થાઓમાં કાર્યક્રમનું લાઈવ પ્રસારણ
રાજ્યની તમામ કૃષિ યુનિવર્સિટીઓ, ICAR સંસ્થાઓ, કેન્દ્રીય કૃષિ યુનિવર્સિટીઓ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રોમાં પણ આ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ આયોજન સાથે ખેડૂતોની મોટી ઉપસ્થિતિ રહેશે. અત્યાર સુધી દેશના ખેડૂતોને ₹3.91 લાખ કરોડથી વધુની સહાય
પીએમ-કિસાન યોજનાના શરૂથી અત્યાર સુધી દેશના 11 કરોડથી વધુ ખેડૂત પરિવારોને 20 હપ્તામાં કુલ ₹3,91,000 કરોડથી વધુની સહાય વિતરણ થઈ ચૂકી છે. ગુજરાતના ખેડૂતોને પણ અત્યાર સુધી 20 હપ્તા મારફતે ₹21,086 કરોડથી વધુની સહાય સીધી બેંક ખાતામાં જમા થઈ છે.
વડાપ્રધાન મોદી આજે PM કિસાનનો 21મો હપ્તો રિલીઝ કરશે:ગુજરાતના 49.31 લાખ ખેડૂતોને ₹986 કરોડથી વધુની સહાય મળશે, ખેડૂતોને સહાય-મંજૂરીપત્રોનું વિતરણ થશે
📅 Published: November 19, 2025 |
📂 Category: Uncategorized
