સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે ભારત સરકાર દ્વારા ‘સરદાર@150 યુનિટી માર્ચ’ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત પાટણ તાલુકાના નોરતા તળપદ ગામેથી પદયાત્રા શરૂ થઈ હતી. આ યાત્રા નોરતા, બોરસણ, અંબાજી નેળિયું અને ગોલ્ડન ચોકડી થઈને APMC પાટણ પહોંચી હતી, જ્યાં સરદાર પટેલની પ્રતિમાને માલ્યાર્પણ કરીને સમાપન કરાયું હતું. નોરતા તળપદ ખાતેના કાર્યક્રમમાં એકતા અને નશામુક્તિના શપથ લેવડાવવામાં આવ્યા હતા. આ પદયાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્ર નિર્માણમાં સરદાર સાહેબના યોગદાનને બિરદાવવાનો હતો. આ યાત્રામાં યુવાનો, વિદ્યાર્થીઓ અને સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. પદયાત્રીઓએ ‘એક ભારત, આત્મનિર્ભર ભારત’ અને રાષ્ટ્રીય એકતાના સૂત્રોચ્ચાર કર્યા હતા. આ આઠ કિલોમીટર લાંબી પદયાત્રાનું લોકોએ ઠેર ઠેર ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. મોટી સંખ્યામાં સ્થાનિક લોકો પણ આ યાત્રામાં સહભાગી બન્યા હતા. આ પ્રસંગે સંત દોલતરામ બાપુ, નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, સંગઠનના પ્રમુખ રમેશ સિંધવ, હુડકોના ચેરમેન કેસી પટેલ, APMC ચેરમેન સ્નેહલ પટેલ, ભાવેશભાઈ પટેલ, પાટણ પ્રાંત અધિકારી અને રમતગમત અધિકારી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
સરદાર પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે 'યુનિટી માર્ચ':પાટણના નોરતાથી APMC સુધી પદયાત્રા યોજાઈ, હાથમાં તિરંગા સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા
📅 Published: November 19, 2025 |
📂 Category: Uncategorized
