
સુરત શહેરની ઓળખ અને ગૌરવ ગણાતા રાજમાર્ગ પર આવેલા ઐતિહાસિક ક્લોક ટાવર ને ફરી તેની મૂળ ઐતિહાસિક ઓળખ સાથે ઉજાગર કરવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા રીપેરીંગ, રિસ્ટોરેશન અને સંરક્ષણ માટે આયોજન કરવામાં આવી રહ્યું છે. શહેરના ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવાના હેતુથી પાલિકાએ બજેટમાં જરૂરી જોગવાઈ કરી છે, જેમાં આ ઐતિહાસિક ક્લોક ટાવરને પણ આવરી લેવામાં આવ્યો છે. આગામી દિવસોમાં આ ટાવર માટે અંદાજ તૈયાર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
એક સમયે સુરતનું ગૌરવ ગણાતો રાજમાર્ગ અને તેનો ઐતિહાસિક ક્લોક ટાવર આજે મેટ્રોની લાંબા સમયથી ચાલી રહેલી કામગીરી તથા આસપાસ થયેલા ગેરકાયદે દબાણ ના કારણે તેની ચમક ગુમાવતો જણાઈ રહ્યો છે. ટાવરની આજુબાજુ તેમજ ફુટપાથ પર દબાણ, અવ્યવસ્થિત માળખાં અને અવગણનાને કારણે ઐતિહાસિક વારસાનું સન્માન જળવાતું નથી.
