
– એરબસ કંપનીએ એ-320 વિમાનોને ઉડાડવા ના દીધા
– ભારતીય એરલાઈન્સે 338થી વધુ વિમાનોમાં સોફ્ટવેર-હાર્ડવેર અપડેટ કરાવ્યા, ફલાઈટોનું કેન્સલેશન ટળ્યું, 60થી 90 મિનિટ મોડી પડી
– ભારતમાં 80 ટકા વિમાનોમાં ખામી સુધારાઈ: ડીજીસીએ વૈશ્વિક સ્તરે સોમવાર સુધીમાં સ્થિતિ થાળે પડી જશે: એરબસ
નવી દિલ્હી : સોલાર રેડિએશનથી વિમાનોના ફ્લાઈટ કંટ્રોલ ડેટા કરપ્ટ થઈ જવાના જોખમના કારણે યુરોપીયન વિમાન કંપની એરબસે શુક્રવારે ૫૫ વર્ષમાં સૌથી મોટું રીકોલ કરતા તેના ૬,૫૦૦ એ૩૨૦ ફેમિલી વિમાનોમાં તાત્કાલિક સોફ્ટવેર-હાર્ડવેર અપડેટ કરવાનો આદેશ આપ્યો હતો, જેના પગલે ભારતમાં ઈન્ડિગો, એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસના કુલ ૩૩૮ એ૩૨૦ વિમાનોના શેડયુલ ખોરવાઈ ગયા હતા. આ સાથે દુનિયાભરમાં અનેક એરલાઈન્સ કંપનીઓ પર પણ તેની અસર થવાથી લાખો પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. એ૩૨૦ વિમાનોમાં સોફ્ટવેર-હાર્ડવેર રિપેરિંગની કામગીરી સોમવાર સુધીમાં પૂરી થશે.
