
મુંબઈ : વિશ્વમાં હાલમાં પ્રવર્તી રહેલા અનિશ્ચિત વાતાવરણ વચ્ચે શું કરવું અને શું ન કરવું તે અંગે વિશ્વના દસમાંથી સાત ચીફ એક્ઝિકયૂટિવ ઓફિસર્સ (સીઈઓ) અસમંજસની સ્થિતિમાં છે. અમેરિકા દ્વારા લાગુ કરાયેલા ઊંચા ટેરિફ ઉપરાંત આર્ટિફિસિઅલ ઈન્ટેલિજન્સ (એઆઈ)માં રોકાણ પર ખાસ વળતર હજુ મળતા નહીં હોવાથી કંપનીઓ મુંઝવણમાં છે એમ પીડબ્લ્યુસીના ગ્લોબલ ચેરમેન મોહમદ કાંડે દ્વારા વર્લ્ડ ઈકોનોમિક ફોરમ ખાતે એક ટીવી ચેનલને અપાયેલી મુલાકાતમાં જણાવાયું હતું.
પીડબ્લ્યુસી દ્વારા હાથ ધરાયેલા વૈશ્વિક સીઈઓસના સર્વેમાં જણાયું હતું કે, દસમાંથી માત્ર ત્રણ સીઈઓને આગામી ૧૨ મહિનામાં આવક વૃદ્ધિ બાબત વિશ્વાસ છે. આવક વૃદ્ધિ જે ૨૦૨૫માં ૩૮ ટકા રહી હતી તેનાથી નીચી રહેવા ધારણાં મૂકવામાં આવી રહી છે.
