હિંમતનગરના ટાવર ચોક બગીચા વિસ્તાર ખાતે બે દિવસીય સ્વદેશી મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ધારાસભ્ય વી.ડી. ઝાલાના હસ્તે આ મેળાને ખુલ્લો મુકાયો હતો. આ આયોજન સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે ‘સરદાર@150 યુનિટી માર્ચ’ અંતર્ગત કરાયું છે. આ મેળાનો મુખ્ય હેતુ ‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ અભિયાનને સાચા અર્થમાં ચરિતાર્થ કરવાનો છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA) હસ્તકની રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના અંતર્ગત કાર્યરત સ્વસહાય જૂથો દ્વારા સ્વ-ઉત્પાદિત ચીજવસ્તુઓના વેચાણ અને પ્રદર્શન માટે આ મેળાનું આયોજન કરાયું છે. વિવિધ તાલુકાના કુલ 15 સ્વસહાય જૂથોએ તેમના ઉત્પાદનોના સ્ટોલ લગાવ્યા છે. આ સ્વદેશી મેળાના ઉદ્ઘાટન પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક કે.પી. પાટીદાર, નગરપાલિકાના સદસ્યો તેમજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
હિંમતનગરમાં બે દિવસીય સ્વદેશી મેળાનું ઉદ્ઘાટન:સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે આયોજન
📅 Published: November 19, 2025 |
📂 Category: Uncategorized
