અરવલ્લી જિલ્લામાં નવા શામળાજી અને સાઠંબા તાલુકાઓની રાજ્ય સરકારે જાહેરાત કરી હતી. 1લી ઓક્ટોબરથી નવા બંન્ને તાલુકા અસ્તિત્વમાં આવ્યા હતા.
પરંતુ નવા સાઠંબા તાલુકામાં સમાવેશ કરાયા બાદ ગાબટ ગામમાં વિરોધનો વંટોળ ઉઠયો હતો. ઉપવાસ આંદોલનથી લઈને ગ્રામજનોએ રેલીઓ કાઢી વિરોધ કરી ગાબટનો પુનઃ બાયડ તાલુકામાં સમાવેશ કરવાની માગણી કરી હતી. છેવટે ગાબટના ગ્રામજનોનુ આંદોલન રંગ લાવ્યુ હતુ. રાજ્ય સરકારે વર્ષ 2025ના અંતિમ દિવસે 31 ડિસેમ્બરે નોટિફિકેશન બહાર પાડી ગાબટને ફરીથી બાયડ તાલુકામાં સમાવેશ કરતા ગ્રામજનોમાં આનંદ ફેલાયો હતો.
બાયડ તાલુકાનુ વિભાજન કરીને નવો સાઠંબા તાલુકો અસ્તિત્વમાં આવ્યો હતો. જેમાં તા. 1લી ઓક્ટોબર 2025થી સાઠંબા તાલુકા મથક ખાતે મામલતદાર, તાલુકા પંચાયત કચેરી સહિતની સરકારી કચેરીઓ કાર્યરત પણ કરવામાં આવી છે. પરંતુ નવા સાઠંબા તાલુકામાં સમાવેશ કરાયો ત્યારથી ગાબટ ગામમાં વિરોધનો વંટોળ શરૂ થયો હતો. આ મામલે ગાંધીનગરમાં મુખ્યમંત્રી સુધી રજુઆતો થઈ હતી. ગાબટની વિવિધ સ્વૈચ્છીક સંસ્થાઓ, ગ્રામ પંચાયત, વેપારી એસોસીએશન દ્વારા આ નિર્ણયનો વિરોધ કરી ગામને ફરીથી બાયડ તાલુકામાં સમાવવા આંદોલનના મંડાણ કરવામાં આવ્યા હતા.
