નર્મદા નદી ઉપર આકાર પામી રહેલી ભાડભૂત બેરેજ યોજનાની પ્રગતિની જાત માહિતી મેળવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રોજેક્ટ સાઈટનું નિરીક્ષણ કરીને કામગીરીની સમીક્ષા હાથ ધરી હતી.તેઓ ભાડભૂત બેરેજ યોજનાની પ્રગતિની સમીક્ષા કરવા માટે ભરૂચ પહોંચ્યા હતા.
તેમણે આ બધી જ કામગીરીમાં ગુણવત્તા જળવાઈ રહે તથા નિશ્ચિત સમય મર્યાદામાં કામગીરી પૂરી થાય તે અંગેનું માર્ગદર્શન અને જરૂરી સૂચનો આ સમીક્ષા બેઠકમાં આપ્યા હતા. આ ભાડભૂત બેરેજ યોજનાનો ઉદ્દેશ ભરૂચ પાસે બિન ઉપયોગી રીતે દરિયામાં વહી જતા નર્મદાના મીઠા પાણીનો સંગ્રહ કરીને મીઠા પાણીનું સરોવર બનાવી ભરૂચ-અંકલેશ્વર વિસ્તારની ખારી થતી જતી જમીનને બચાવવાનો છે. સમુદ્રની ભરતીનું પાણી દરિયાના મુખથી 70 કિલોમીટર ઉપરવાસમાં શુકલતીર્થ સુધી પ્રવેશતું અટકાવીને ખારાશની સમસ્યા દૂર થશે.. મુખ્યમંત્રીએ આ નિર્માણાધીન યોજનાના સ્થળ ભાડભૂતની મુલાકાત લઈને થઈ રહેલી પ્રગતિ અંગે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં જણાવાયુ હતુ કે અત્યાર સુધીમાં આ પ્રોજેક્ટમાં 53 ટકા જેટલી ભૌતિક પ્રગતિ થયેલી છે. બેરેજના બાકીના કામો માટે બે તબક્કામાં કામગીરી પૂર્ણ કરવાનું આયોજન છે. પહેલા તબક્કાની કામગીરી જુલાઈ-2026માં તથા બીજા તબક્કાની કામગીરીમાં પૂર સંરક્ષણ પાળા સહિતની સંપૂર્ણ કામગીરી જુન-2027માં પૂરી કરવાનું આયોજન છે.
