દાહોદ જિલ્લાના ઝેરજીતગઢ ગામે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા બનાવવામાં આવેલી ડિઝાઇનની ખામી હવે ગ્રામજનો માટે માથાના દુખાવા સમાન બની છે. ફુલપરીથી ઉસરા ગામને જોડતા અંડરપાસમાં બોરવેલની ગાડી ફસાઈ જવાની ઘટનાએ તંત્રની પોલ ખોલી નાખી છે.
અંડરપાસમાં બોરવેલની ગાડી ફસાઈ
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ કોરિડોર હાઇવેની કામગીરી દરમિયાન સ્થાનિક ગ્રામજનોની અવરજવર માટે ઝેરજીતગઢ ગામના મુનિયા ફળિયા પાસે એક અંડરપાસ બનાવવામાં આવ્યો હતો. જોકે, આ અંડરપાસની ઊંચાઈ એટલી ઓછી રાખવામાં આવી છે કે મોટા વાહનો તેમાંથી પસાર થઈ શકતા નથી. ગામમાં બોરવેલ કરવા માટે બોલાવવામાં આવેલી એક મોટી ગાડી આ અંડરપાસમાં પસાર થવા જતાં તેની છત સાથે જોરદાર રીતે અથડાઈને ફસાઈ ગઈ હતી. ગાડી ફસાવાના કારણે અંડરપાસના ઉપરના છતના ભાગે (સ્લેબ) પણ મોટું નુકસાન પહોંચ્યું છે, જેનાથી હાઇવેની મજબૂતી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.
તંત્રની ઉદાસીનતા અને ગ્રામજનોનો આક્રોશ
આ ઘટના બન્યાના 2 કલાકથી વધુ સમય વીતી જવા છતાં નેશનલ હાઇવે ઓથોરિટીના કોઈ પણ કર્મચારી કે અધિકારી સ્થળ પર ન પહોંચતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.ગ્રામજનોનો આક્ષેપ છે કે આ અંડરપાસની ઊંચાઈ વધારવા માટે સ્થાનિક નેતાઓથી લઈને જિલ્લા વહીવટી તંત્ર સુધી અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ પરિણામ શૂન્ય આવ્યું છે. અહીં અવારનવાર મોટા વાહનો ફસાય છે, જેના કારણે ટ્રાફિક જામ અને અકસ્માતનો ભય રહે છે.
આ પણ વાંચો: Surat: કોસાડ આવાસમાં બાળકોના ઝઘડામાં સમાધાન કરાવવા ગયેલા યુવકની નિર્મમ હત્યા
