દેવગઢબારીઆ તાલુકાના અનેક ગામડામાં ગ્રામ સમાજવાડી ગામલોકોને સામાજિક તેમજ ધાર્મિક પ્રસંગોમાં ઉપયોગ માટે બનાવાય છે. પરંતુ પીપલોદ ગામના બસ સ્ટેન્ડ સામે મહાદેવ મંદિર પાસે બનાવાયેલી ગ્રામ સમાજવાડી જાળવણીના અભાવે આજે ખંડેર બની ગઈ છે. આ ગ્રામ સમાજવાડી રિલાયન્સ અને જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના સહયોગથી ગોકુળગ્રામ યોજના વર્ષ 2001-02 દરમિયાન બનાવાઈ હતી..
પીપલોદ બસ્ટેન્ડ સામે મહાદેવ મંદિર, અંબાજી મંદિર તેમજ નજીક માં વેષ્ણવ સમાજની ઠાકોરજીની હવેલી આવેલ છે. આ મંદિરો મધ્યે ગ્રામ સમાજવાડી વર્ષ 2001-02 દરમિયાન બનાવાઈ હતી. બજાર વિસ્તારમાંથી લગ્ન સગાઈ, જન્મદિવસ ઉજવણી, બહારગામથી આવનાર મહેમાન માટે રહેવાની વ્યવસ્થા, તેમજ કેટલાય સામાજિક અને ધાર્મિક પ્રસંગમાં ઉપયોગી બની હતી. પરંતુ યોગ્ય જાળવણીના અભાવે હાલમાં આ ગ્રામ સમાજવાડીમાં સુવિધાઓ તો ઠીક પણ મકાનની આસપાસ પણ ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે. જેની કોઈ સાફસફાઈ નહીં કરાતાં હાલ સમાજવાડીનું મકાન જાણે ખંડેરમાં ફેરવાઈ ગયું છે. ગામમાં કોઈ મોટી ધર્મશાળા નથી કે જેથી બહારગામથી આવતાં પ્રવાસી માટે અહીં રાત્રિ રોકાણની સુવિધા મળી શકે, ત્યારે આ ગ્રામ સમાજવાડી આશીર્વાદરૂપ બની શકે તેમ છે. હાલમાં આ ગ્રામ સમાજવાડીની દેખરેખ ગ્રામ પંચાયત પીપલોદ કે પછી મંદિર ટ્રસ્ટ દ્વારા કરાઈ રહ્યું છે. જેથી તાલુકામાં આવેલી આવી તમામ ગ્રામ સમાજ વાડીઓની તપાસ કરી પુનઃ કાર્યરત કરવા માંગ કરાઈ છે.
