અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના સરોવડા ગામમાં ગત મોડી રાત્રે બે સિંહો ગામની હદમાં પ્રવેશ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. સરોવડા ગામની મુખ્ય બજાર અને શેરીઓમાં શિકારની શોધમાં બે ડાલામથા સાવજો ગામના માર્ગો અને શેરીઓ સુધી લટાર મારતા જોવા મળ્યા હતા. સિંહોની આ હિલચાલ ગામમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે.
સરોવડા ગામમાં ઘૂસેલા બે સિંહ CCTVમાં કેદ
માનવામાં આવે છે કે આ સિંહો પશુના શિકારની શોધમાં સુમસામ વાતાવરણનો લાભ લઈને ગામમાં ઘૂસી આવ્યા હતા. ગીરની આસપાસના વિસ્તારોમાં સિંહોનું ગામડાઓની નજીક અને ઘણીવાર ગામમાં પણ આવી જવું હવે સામાન્ય બની ગયું છે, જે વન્યજીવ અને માનવ વસ્તીના સહઅસ્તિત્વની સ્થિતિ દર્શાવે છે.
સિંહો પશુના શિકારની શોધમાં ગામમાં ઘૂસી આવ્યા
ગામમાં સિંહની લટારના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ગામમાં અવારનવાર સિંહ આવી જવાની ઘટનાઓ સામે આવે છે. ગામમાં સિંહ આવી જવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. જોકે સિંહ દ્વારા ગામના પશુઓનો શિકાર કર્યો હોય તેવી માહિતી મળી નથી.
