ભરૂચના જંબુસરમાં એક સનસનીખેજ ઘટના સામે આવી છે. મગણાદ અને મહાપુરા ગામ વચ્ચેથી પસાર થતી એક માઇનોર કેનાલ ઉપર એક અજાણ્યા યુવકનો મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યો છે. આ ઘટનાએ સમગ્ર જંબુસર પંથકમાં ચકચાર મચાવી દીધી છે અને મૃત્યુ હત્યા છે કે આત્મહત્યા તે અંગે અનેક સવાલો ઉભા થયા છે. આ ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકોના ટોળા સ્થળ પર ઉમટી પડ્યા હતા.
ઘટનાની જાણ થતા લોકોના ટોળા ઉમટી પડ્યા
તાત્કાલિક જંબુસર પોલીસને આ અંગે જાણ કરવામાં આવી હતી અને પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતદેહને નીચે ઉતારીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ મૃતક કોણ છે અને ક્યાંનો છે તે અંગે કોઈ માહિતી મળી નથી. પોલીસ મૃતકની ઓળખ પ્રસ્થાપિત કરવા અને આ મૃત્યુ પાછળનું સાચું કારણ જાણવા માટે સઘન તપાસ ચલાવી રહી છે.
જંબુસર પોલીસ તપાસ હાથધરી
પોલીસ માટે આ એક પડકારજનક કેસ છે. જેમાં હત્યા, આત્મહત્યા કે અન્ય કોઈ કારણ જવાબદાર છે તે શોધવાનું છે. સ્થાનિક લોકોમાં આ ઘટના અંગે અનેક પ્રકારની અટકળો ચાલી રહી છે. પોલીસની તપાસ બાદ જ આ રહસ્યમય મૃત્યુ પરથી પડદો ઉંચકાશે અને સત્ય બહાર આવશે.
