મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકામાં પોલીસની દાદાગીરીનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
જનોડ ગામના લીંબચ માતાના મંદિરમાં થયેલી ચાંદીની પાદુકાની ચોરીની તપાસના બહાને બાલાસિનોર રૂલર પોલીસ દ્વારા 15 વર્ષીય સગીર વિદ્યાર્થીને પટ્ટા વડે બેરહેમ માર મારવામાં આવતા સમગ્ર પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ગઈ તા. 21/01/2026ના રોજ જનોડ ગામના લીંબચ માતાના મંદિરમાંથી આશરે 400 ગ્રામ ચાંદીની પાદુકા (કિંમત રૂ. 1.50 લાખ)ની ચોરી થઈ હતી. આ મામલે મંદિર કમિટીના સભ્ય રાજેન્દ્રકુમાર વાળંદ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
આ દરમિયાન જનોડ ગામનો સફઈ કામદાર બીમાર હોવાથી તેમનો પુત્ર (ધોરણ-9નો વિદ્યાર્થી) સફઈ માટે મંદિરમાં ગયો હતો, શંકાના આધારે પોલીસ દ્વારા તેની અટકાયત કરવામાં આવી હતી.આક્ષેપ છે કે, તપાસના નામે બાલાસિનોર તાલુકા પોલીસ મથકે બોલાવાયેલા આ સગીર વિદ્યાર્થી પર મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન. સોલંકી અને તેમના સ્ટાફ્ દ્વારા અમાનવીય અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો.
સગીર વિદ્યાર્થીને પટ્ટા વડે હાથે-પગે ઢોર માર મારવામાં આવતા તેને ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવો પડયો હતો.પોલીસની આ આકરી અને અમાનવીય કાર્યવાહીની જાણ થતા જ રાજકીય માહોલ ગરમાયો છે.
બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા અને બાલાસિનોરના ધારાસભ્ય માનસિંહ ચૌહાણ પીડિત વિદ્યાર્થીના ઘરે પહોંચ્યા હતા અને પરિવારને સાંત્વના પાઠવી હતી.ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ જિલ્લા પોલીસવડા સાથે ટેલિફેનિક વાતચીત કરી જવાબદાર પોલીસ અધિકારી સામે કડક પગલાં લેવાની માંગ કરી છે.સ્થાનિકોમાં પણ પોલીસની’દાદાગીરી સામે ભારે આક્રોશ ફટી નીકળ્યો છે. વિવાદ વકરતા અને ધારાસભ્યોની રજૂઆત બાદ મહીસાગર જિલ્લા પોલીસ વડાએ સમગ્ર મામલે તટસ્થ તપાસના આદેશ આપ્યા છે.
